![]()
Food Safety Drive: ગુજરાત સરકાર નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધતા દર્શાવતા ભેળશેળ કરતા તત્ત્વો સામે ‘શૂન્ય સહનશીલતા’ની નીતિ અપનાવી છે. રાજ્યમાં ચાલી રહેલા ‘ખોરાક શુદ્ધિ અભિયાન’ને વધુ વેગવાન બનાવવાની જાહેરાત સાથે જ તંત્રએ પનીરના નામે એનાલોગ પ્રોડક્ટ વેચતા એકમો પર સપાટો બોલાવ્યો છે.
પનીરના નામે એનાલોગ વેચનારાઓ સામે લાલ આંખ
એપ્રિલ મહિનામાં રાજ્યમાં પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિત કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજે 1,83,240 રૂપિયાની કિંમતનો 1,018 કિગ્રા શંકાસ્પદ પનીર અને એનાલોગનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ તેનો નાશ કરવામાં કરાયો.
નોટિસ, દંડ અને એકમો સીલ કરવાની કાર્યવાહી
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સઘન ડ્રાઇવમાં ગંભીર બેદરકારી બદલ 270 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે 118 જેટલા શંકાસ્પદ નમૂનાઓને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે અને વધુ પડતી બેદરકારી દાખવનાર 18 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.
ઉનાળાની સિઝનમાં જ્યુસ અને આઈસ ગોલાના એકમો પર તપાસ
ગરમીની સિઝનને ધ્યાને રાખીને ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ દ્વારા શેરડીનો રસ, મેંગો જ્યુસ, આઈસ ગોલા અને તડબૂચ વેચતા 1,576 સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં 1,705 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ જાગૃતિ લાવવા માટે 284 ટ્રેનિંગ પ્રોગ્રામ અને 255 અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય કે, જો ફૂડ બિઝનેસ ઓપરેટરો તાકીદે નિયમોનું પાલન નહીં કરે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરતા સરકાર જરા પણ અચકાશે નહીં. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.










