![]()
ગાંધીનગર નજીક ચિલોડા દહેગામ હાઇવે ઉપર
પોલીસે બસના ચાલક સામે ગુનો દાખલ કરીને મજૂરના પરિવારજનોની શોધખોળ આદરી
ગાંધીનગર : ગાંધીનગરના ચિલોડા નજીક મગોડી ગામ પાસે એક અકસ્માતની ઘટના
સામે આવી છે. જેમાં એસ.ટી. બસની ટક્કરથી એક ૫૦ વર્ષીય ખેત મજૂરનું સારવાર દરમિયાન
મોત નીપજ્યું છે. આ અંગે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવવામાં આવી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા દહેગામ હાઇવે ઉપર મગોડી પાસે એસટી
બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે મૂળ મગોડી ગામના વતની અને ખેતી કામ કરતા નરેન્દ્રસિંહ ભગાજી બિહોલાએ
પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે,
તેમના ખેતરમાં છેલ્લા દસેક દિવસથી વીરસંગભાઈ નામની વ્યક્તિ છૂટક મજૂરી કામ
કરતી હતી. બુધવારના રોજ સાંજના સુમારે વીરસંગભાઈ મગોડીથી મોટા ચિલોડા તરફ જતા રોડ
પર ચાલતા જઈ રહ્યા હતા. સાંજે આશરે સાડા છ વાગ્યાના અરસામાં, રોડ પર આવેલા
ખોડીયાર માતાના મંદિર નજીક,
એસ.ટી. બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે હંકારી વીરસંગભાઈને જોરદાર ટક્કર મારી
હતી. આ અકસ્માતમાં વીરસંગભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ
ઇજાગ્રસ્ત વીરસંગભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા. જોકે,
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ પોલીસ
દ્વારા બસના ચાલક સામે ગુનો દાખલ કરીને વીરસંગભાઈના પરિવારજનોને શોધખોળ શરૃ
કરવામાં આવી છે.










