![]()
– રાગદેશ રાખી મદ્રેશાનું દબાણ હટાવ્યું, બોરતળાવની ડુબની જમીનના દબાણ દૂર કરાતા નથી : કોંગ્રેસ
– મેયરની મંજૂરી વગર દબાણના મામલે સવાલ ઉઠાવતા કોંગ્રેસના નગરસેવકને બહાર કઢાયા, ત્યારબાદ કોંગ્રેસના અન્ય નગરસેવકો પણ બહાર નિકળી ગયાં
ભાવનગર : ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા આજે શુક્રવારે મળી હતી, જેમાં મદ્રેશાનાં દબાણનો મામલો ગુંજ્યો હતો. મદ્રેશાના દબાણના મામલે કોંગ્રેસના નગરસેવકે મેયરની મંજૂરી વગર સવાલ કર્યા હતા તેથી તેઓને સમજાવ્યાં બાદ સાધારણ સભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તેથી કોંગ્રેસના અન્ય નગરસેવકોએ વોકઆઉટ કર્યો હતો. ત્યારબાદ ભાજપે જુદા જુદા કામના ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી, એક ઠરાવ પેન્ડીંગ રખાયો હતો અને એક ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો.
મહાપાલિકાના હોલ ખાતે આજે શુક્રવારે સાંજે સાધારણા સભા મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી. સાધારણ સભા હજુ શરૂ થતા જ કોંગ્રેસના નગરસેવક ભરત બુધેલીયાએ મેયરની મંજૂરી વગર મદ્રેશાના દબાણ તોડી પાડયાં તેને લઈ સવાલો ઉઠાવ્યાં હતાં. રાગદેશ રાખી મદ્રેશાના દબાણ દૂર કર્યા છે, બોરતળાવની ડુબની જમીનના દબાણ કેમ દૂર કરવામાં આવતા નથી ?, અન્ય શૈક્ષણીક સંસ્થાઓમાં પણ નિયમ વિરૂધ્ધ બાંધકામ છે છતાં પગલા લેવામાં આવતા નથી તેવા આક્ષેપો કોંગ્રેસ નગરસેવકોએ કર્યા હતાં. આ મામલે ૧૦ મીનીટ સુધી ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના નગરસેવકને બેસી જવા મેયરે વારંવાર જણાવ્યુ હતુ પરંતુ તેઓ સવાલોનો મારો ચાલુ રાખતા તેઓને સાધારણ સભામાંથી બહાર કાઢવા મેયરે સૂચના આપી હતી તેથી અન્ય કોંગ્રેસના નગરસેવકો પણ મન કમને સાધારણ સભામાંથી બહાર નિકળી ગયા હતા અને સાધારણ સભાનો વોકઆઉટ કર્યો હતો.
કોંગ્રેસના નગરસેવકોની ગેરહાજરીમાં શાસક ભાજપે શિક્ષણ સમિતિના શિક્ષકોના એનપીએસ અંતર્ગત સીપીએફ ફાળામાં ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવા, કેટલાક રહેણાંકીય લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવી, વ્યવસાય વેરાની યોજના લંબાવવા સહિતના ર૧ ઠરાવને મંજૂરી આપી હતી, જેમાં નિલમબાગ પાસેનો લીઝ હોલ્ટ પ્લોટનો કબજો મનપા પાસે રહેશે તે ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કર્યો હતો, જયારે ખારગેટ પાસે જલારામ મંદિર પાછળ સીટી સર્વે વોર્ડ નં. ૩ નાં સીટી સર્વે નં. ૧૦૭૬ પૈકીની ૧ર.૮૧ ચો.મી. જગ્યા લીઝથી ફાળવવા અરજદાર પારૂલબેન હર્ષદરાય પટેલે રજૂઆત કરી હતી પરંતુ આ ઠરાવ કોઈ કારણસર ચર્ચા માટે પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો.
વોકઆઉટ કરતા કોંગ્રેસના કેટલાક નગરસેવકોમાં નારાજગીની ચર્ચા
ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં ચર્ચા કરવા માટે કોંગ્રેસના કેટલાક નગરસેવકો તૈયારી કરીને આવ્યા હતા પરંતુ સાધારણ સભાની શરૂઆતમાં જ કોંગ્રેસે વોકઆઉટ કરતા કેટલાક કોંગ્રેસના નગરસેવકોમાં નારાજગીની ચર્ચા સાંભળવા મળી હતી. આ મામલે કોંગ્રેસમાં સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. કોંગ્રેસ વારંવાર વોકઆઉટ કરે છે તેથી ભાજપ ચર્ચા વગર જ ઠરાવ મંજૂર કરી નાખે છે તેથી ભાજપને ફાયદો થતો હોય તેમ જણાય રહ્યુ છે.
પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા વગર સતત બીજી સાધારણ સભા પૂર્ણ, પૈસાનો બગાડ
મહાપાલિકામાં સાધારણ સભામાં માસમાં એકવાર મળતી હોય છે, જેમાં પ્રજાના પ્રશ્ને ચર્ચા કરવામાં આવતી હોય છે અને અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવતા હોય છે પરંતુ સતત બીજી સાધારણ સભા પ્રજાના પ્રશ્નોની ચર્ચા વગર પૂર્ણ થઈ છે. સાધારણ સભામાં હાજર રહેનાર તમામ નગરસેવકોને રૂા. પ૦૦ ચુકવવામાં આવે છે. પર નગરસેવકોના કુલ રૂા. ર૬ હજાર થતા હોય છે. ચર્ચા વગર સભા પૂર્ણ થતા પ્રજાના પૈસાનાં ટેક્સના પૈસા બગડતા હોય છે, જે ગંભીર બાબત છે. ટેક્સના પૈસાનો બગાડ ન થાય તેવું આયોજન કરવુ જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.










