![]()
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ફરી કંઇક મોટું થવાની અટકળો શરૂ થઈ છે. કારણ કે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ગુરુવારે (21મી ઓગસ્ટ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની મુલાકાત પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘રાજ્યમાં સંવાદ જાળવી રાખવી એ એક પરંપરા રહી છે.’
જાણો શું છે મામલો
વર્ધામાં પત્રકારો સાથે વાત કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે કહ્યું કે ‘ઘણાં નેતાઓ એકબીજાને અને મુખ્યમંત્રીને મળે છે, પછી ભલે તે નેતાઓ સત્તામાં હોય કે ન હોય. એકબીજા સાથે સંવાદ જાળવી રાખવો એ રાજ્યની પરંપરા છે. આ મુલાકાતને રાજકીય રંગ આપવાની કોઈ જરૂર નથી.’ નોંધનીય છે કે, MNSના વડા રાજ ઠાકરેએ દક્ષિણ મુંબઈમાં તેમના બંગલો ‘વર્ષા’ ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા, જેના કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળોને વેગ મળ્યો હતો.
આ પણ વાંચો: PM-CMને હટાવવા અંગેના બિલમાં ત્રણ મોટી અડચણ, બે પાર કરી લેશે NDA પણ ત્રીજી…
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરેની મનસેએ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (BEST) ચૂંટણી સાથે લડી હતી, જેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બંને પક્ષોએ પહેલીવાર સાથે મળીને ચૂંટણી લડી હતી, જોકે, તેમનું સંયુક્ત પેનલ 21 પદોમાંથી એક પણ પદ જીતી શક્યું ન હતું. રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શિવસેના (ઉદ્ધવ જૂથ) અને MNS વચ્ચે સંભવિત ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે.
રાજ ઠાકરેએ શું કહ્યું
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક બાદ MNSના વડા રાજ ઠાકરે કહ્યું કે, ‘મહારાષ્ટ્રના શહેરોમાં પુનર્વિકાસ થઈ રહ્યો છે. વસ્તી વધી રહી છે…, ટ્રાફિક વધી રહ્યો છે… અને મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. મુંબઈમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે. લોકોને ટ્રાફિકના નિયમો ખબર નથી. તે ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરે છે અને ચાલ્યા જાય છે. આજે મેં મુખ્યમંત્રી તેમજ મુંબઈ પોલીસ સાથે આ અંગે ચર્ચા કરી હતી.’










