![]()
Maharashtra Political News : મહારાષ્ટ્રના મહાયુતિ (NDA) ગઠબંધનમાં બધું બરાબર ચાલી રહ્યું છે કે કેમ, તેવો સવાલ ફરી ઊભો થયો છે. શાસક ગઠબંધનમાં સામેલ એકનાથ શિંદેની શિવસેના પાર્ટીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના એક મંત્રી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. શિવસેનાના એક નેતાએ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને BJP સાંસદ મુરલીધર મોહોલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે, જેના કારણે બંને પક્ષોના નેતાઓ આમને-સામને આવી ગયા છે.
રવીન્દ્ર ધાંગેકરના મોહોલ પર ભ્રષ્ચાચારના આરોપ
શિવસેનાના પુણે મહાનગર એકમના પ્રમુખ રવીન્દ્ર ધાંગેકરે (Ravindra Dhangekar) આજે (24 ઓક્ટોબર) મોહોલ (Murlidhar Mohol) પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘મોહોલ જ્યારે પુણેના મેયર હતા, ત્યારે તેઓ રિયલ એસ્ટેટ એજન્ટો માટે કામ કરતા હતા. મોહોલના કાર્યકાળ દરમિયાન એક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મે કાર પર મેયરના સ્ટિકર લગાવ્યા હતા. આ કાર બિલ્ડર ભધેકરની હતી. આ તે જ બિલ્ડર છે, જેણે જૈન હોસ્ટેલની ખરીદી માટે શંકાસ્પદ હરાજી કરી હતી. આ બિલ્ડર મોહોલનો પાર્ટનર પણ છે.’
હું મોહોલના કારનામાનો પર્દાફાશ કરતો રહીશ : ધાંગેકર
ધાંગેકરે એમ પણ પહ્યું કે, ‘શું પુણે નગરનિગમમાં મેયર જેવા બંધારણીય પદ પરના વ્યક્તિ દ્વારા ખાનગી ઉદ્યોગપતિની ગાડીનો ઉપયોગ કરવો તે નૈતિકતા છે? શું 9000 કરોડના બજેટવાળું નગરનિગમ તેમના મેયર માટે એક સાદી ગાડી પણ ખરીદી ન શકે? મેં જે આક્ષેપો કર્યા છે, તેને ઠાણે અથવા નવી મુંબઈની ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા ઝઘડા સાથે કોઈ લેવા દેવા નથી. હું મુરલીધર દ્વારા સત્તાના દુરુપયોગનો પર્દાફાશ કરતો રહીશ.’
આ પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો, ફારૂક અબ્દુલ્લાના દાવાથી કાશ્મીરનું રાજકારણ ગરમાયું
ધાંગેકર-મોહોલના વિવાદ વચ્ચે ભાજપ નેતાનો મુદ્દો સામે આવ્યો
બીજીતરફ ધાંગેકરને શિવસેનામાં સામેલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાજ્યના મંત્રી અને શિવસેના નેતા ઉદય સામંતે ધાંગેકર-મોહોલ વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે. ધાંગેકર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠતા સામંતે કહ્યું કે, ‘અમે થાણે અને નવી મુંબઈમાં શિવસેના વિરુદ્ધ ભાજપ નેતાઓએ કરેલા હુલાનો નજરઅંદાજ ન કરી શકીએ. જો ધાંગેકર વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઈ રહી છે, તો ઠાણે-નવી મુંબઈની ઘટનામાં ભાજપ નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ.’
મોહોલે ધાંગેકરના આરોપો ફગાવ્યા
ધાંગેકરના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા મોહોલેએ કહ્યું કે, મીડિયાએ તેમને મહત્ત્વ ન આપવું જોઈએ, કારણ કે ધાંગેકર વારંવાર જૂઠ બોલતા હોય છે. તેમના આક્ષેપો અંગે હું કહેવા માંગું છું કે, ‘મેં મેયર તરીકેના મારા અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારી ગાડીને બદલે મારી પોતાની ગાડીનો ઉપયોગ કર્યો હતો. રિયલ એસ્ટેટ કંપનીએ ગાડી પર મેયરનું સ્ટીકર લગાવ્યું હતું, કારણ કે હું તે ફર્મમાં પાર્ટનર હતો અને મેં પાર્ટનર તરીકે તે ગાડીનો ઉપયોગ કર્યો હતો. મેં આ વાત ચૂંટણી સોગંદનામામાં પણ કહી છે અને તેમાં કંઈ ગેરકાયદે નથી. ધાંગેકર પાસે કોઈ કામ નથી, કારણ કે ચૂંટણીમાં મતદારોએ તેમને હાંકી કાઢ્યા છે, તેથી તેઓ પરેશાન છે.’
આ પણ વાંચો : પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો










