અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તારમાં લૂંટારુ અને તસ્કર ટોળકીનો આતંક વધી રહ્યો છે. મકાનની રેકી કરીને ધોળા દિવસે તાળાં તોડીને ચોરીને અંજામ આપી રહ્યા છે. મણિનગરમાં રહેતા મહિલા આચાર્યના મકાનની ભરબપોરે જાળીનું તાળું તોડીને અંદર પ્રવેશીને તિજોરી તોડીને અંદરથી રોકડા રૃપિયા બે હજાર અને સોના ચાદીના દાગીના મળી કુલ રૃા. ૫.૬૬ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.
મણિનગરમાં જાળીના તાળા તોડી મકાનમાં પ્રવેશીને ત્રણ બેડરુમની કબાટ, તિજોરી તોડી બે હજાર રોકડા,સોનાચાંદીના દાગીના સહીત લાખોની મતા ચોરી,જાણભેદુની શંકા
મણિનગરમાં રહેતા આધેડે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પત્ની ખાડીયા વિસ્તારમાં પ્રાથમિક શાળમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરે છે. ફરિયાદી ગઇકાલે બપોરે ૩ વાગે પોતાના કામ માટે ઘરે તાળું મારીને ગયા હતા.
સાંજે પત્નીએ ઘરે આવીને ફોન કરીને જાણ કરી હતી કે આપણા મકાનાની જાળીનું તાળું તોડીને અજાણી વ્યક્તિએ મકાનમાં પ્રવેશ કરીને ત્રણેય બેડરૃમમાં રાખેલા લોખંડ તથા લાકડાના કબાટ તોડીને તથા તિજોરી તોડીને અંદરથી રોકડા રૃપિયા બે હજાર તથા સોના -ચાંદીના દાગીના મળી કુલ રૃા. ૫.૬૬ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઘટના અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં કોઇક જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.ે










