![]()
Ahmedabad News : સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરોને ફસાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ગોંડલની એક 15 વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડના કહેવા પર ઘર છોડીને ભાગી નીકળી હતી. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સમયસૂચકતા વાપરીને આ કિશોરીને કલકત્તા પહોંચે તે પહેલા જ ટ્રેનમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગોંડલની આ સગીરા ઇન્સ્ટાગ્રામ પર કલકત્તાના એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. યુવકની વાતોમાં આવીને સગીરાએ કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી કલકત્તા જવા માટે રવાના થઇ ગઇ હતી. જ્યારે પરિવારને દીકરી ગુમ થયાની જાણ થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
આ પણ વાંચો : બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબકારા વધ્યા
પોલીસનું ઓપરેશન રેસ્ક્યુ
એલસીબી (LCB) અને રેલવે પોલીસે સગીરાના મોબાઈલ લોકેશન અને સોશિયલ મીડિયા એક્ટિવિટીનું નિરીક્ષણ કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે સગીરા ટ્રેન મારફતે ગુજરાત બહાર જઈ રહી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ટ્રેનના કોચમાં તપાસ કરતા સગીરા મળી આવી હતી.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
પોલીસે સગીરાનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે આણંદ જીઆરપી (GRP) ને સોંપી છે. આ ઘટના બાદ પોલીસે વાલીઓને ખાસ અપીલ કરી છે કે, બાળકો સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં છે તેની પર નજર રાખો. અજાણ્યા લોકો સાથેની મિત્રતાના જોખમો વિશે બાળકોને સમજાવો. મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશ માટે ચોક્કસ સમય મર્યાદા અને દેખરેખ રાખો. હાલ પોલીસ તે અજાણ્યા શખ્સ સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે જેણે સગીરાને લલચાવીને ઘર છોડવા મજબૂર કરી હતી.








