![]()
વડોદરા: તરસાલીથી બે મિત્ર સાથે મોડી રાત્રે નાસ્તો કરવા માટે ગયેલા
યુવકની તેના બે મિત્રએ જ ઘાતકી હત્યા કરી નાંખી હતી. બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ
જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, મરનાર યશ ઠાકુર તા.૨૧ જુલાઇના રોજ તેના બે
મિત્ર ભીમબહાદુર અને સન્ની ઉર્ફે મેહુલ મુકેશભાઇ માળી સાથે મોડી રાત્રે રાવપુરા
વિસ્તારમાં નાસ્તો કરવા માટે ગયો હતો અને તે સમયે તેમની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી
થતાં આરોપી ભીમબહાદુરે ગુસ્સામાં આવીને પોતાની પાસેનું ચપ્પુ કાઢી યશ ઠાકુરને
ગળાની નીચે હાંસળી પાસે એક ઘા મારી મોત નિપજાવ્યું હતું અને ત્યાંથી નાસી ગયો
હતો.આ બનાવમાં આરોપી સન્ની ઉર્ફે મેહુલ માળીએ સાથ આપ્યો હતો.
આ બનાવમાં હાલ જેલમાં રહેલા આરોપી ભીમબહાદુર ઉર્ફે કાંચો ગોપાલબહાદુર સોનીએ જામીન
અરજી મુકતા અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે, આરોપીએ ઇરાદા પૂર્વક ગુનો આચર્યો નથી તે દલીલ
માની શકાય તેમ નથી.ચાર્જશીટ રજૂ થયા છતાં ગુનાની ગંભીરતા ઓછી થઈ નથી. આરોપી સામે
હત્યા ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે.










