![]()
ડૉકટર પર હુમલો અને લૂંટના ગુનામાં શિક્ષકની પત્નીની તબિયતમાં સારવાર બાદ પણ સુધારો નહીં થતા તમે ખોટી રીતે પૈસા પડાવ્યા છે, કરી આરી-કાતરથી ગળે 3 ઘા કર્યા હતા
સુરત, : 6 વર્ષ પહેલાં કતારગામના તબીબ પર જીવલેણ હુમલો કરીને લુંટ કરનાર આરોપી શિક્ષકને આજે એડીશ્નલ સેશન્સ જજ ભાવેશ કે.અવશીયાએ લુંટ તથા હત્યાના પ્રયાસના ગુનામાં દોષી ઠેરવી ઈપીકો- 307ના ગુનામાં 10 વર્ષની સખ્તકેદ,કુલ રૂ. 25,000 દંડ ન ભરે તો વધુ 3 માસની કેદની સજા ફટકારી ભોગ બનનારને વળતર ચુકવવા ભલામણ કરી છે.
મૂળ બોટાદ જિલ્લાના નાના ઝીંઝાવદરના વતની તથા વેડરોડ ડભોલી ખાતે શ્રીજી નગર સોસાયટીના નાકે સાયોની ક્લીનીક ચલાવતા ફરિયાદી ડૉ.અજય નરસિંહભાઈ મોરડીયા(રે.સરીતા કો.હાઉસીંગ સોસાયટી, કતારગામ) તા. 2-12-2020ના રોજ કલીનીક પર હાજર હતા. ત્યારે જે દરમિયાન મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની તથા પી.પી.સવાણી અબ્રામામાં શિક્ષક એવા આરોપી મનોજ ગોરધનભાઈ દુધાતર (રે.પુષ્કર એપાર્ટમેન્ટ, પુણાગામ) વજન ઉતારવાની ટ્રીટમેન્ટ કરવાનું જણાવી કલીનીકમા આવ્યા હતા. પણ બાદમાં તમે મારી પત્નીની 5 વર્ષ પહેલા સારવાર કરી છતાં કોઇ ફર્ક પડયો નથી, તમે ખોટી રીતે પડાવેલા રૂા.પાંચ હજાર પરત કરો. કહી ડોકટર પર લોખંડની આરી-કાતરથી ગળે ત્રણ ઘા કરી દીધા હતા. અને ડોકટરના પર્સમાંથી પૈસા અને મોબાઇલ લૂંટી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયાની ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાઇ હતી.
આ કેસની કાર્યવાહી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે હત્યાના પ્રયાસ તથા લુંટનો મોટીવ સાબિત થતો નથી. ડીડી તથા ફરિયાદપક્ષના પુરાવામાં વિરોધાભાસ આવે છે. ફરિયાદીને માત્ર બે દિવસમાં સારવાર બાદ રજા આપી હોઈ ઈપીકો- 307 સાબિત થતો નથી. આરોપીની ઓળખ પરેડ કરાવી નથી. ઘટનાની નજરે જોનાર સાક્ષી નથી. જ્યારે સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 10 સાક્ષી તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કરી જણાવ્યું હતું કે, આરોપી વિદ્ધ ગંભીર ગુનાનો પ્રથમદર્શનીય કેસ સાબિત થયો છે. ફરિયાદી આરોપીને તેની પત્નીની સારવાર માટે લાવતા ત્યારથી ઓળખતા હોઈ ઓળખપરેડ કરાવવાની જરૂરી નથી.
કોર્ટે આરોપી શિક્ષક મનોજ દુધાતરાને દોષી ઠેરવી કેદ, દંડની સજા ફટકારી જણાવ્યું હતું કે, આરોપી શિક્ષક હોવા છતાં માત્ર 5,000 પરત મેળવવા પુર્વઆયોજિત પ્લાન મુજબ આરી-કાતર ધારણ કરી ફરિયાદી તબીબના મર્મભાગ ગણાતા ગળા પર ઠંડા કલેજે ત્રણ ઘા માર્યા હોઈ આવા ગંભીર ગુનાને હળવાશથી લઈ શકાય નહીં









