![]()
અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ફટકો : ટ્રાન્સપોર્ટર્સને ડીઝલના ભાવવધારા- કટૌતીની અસર : માલ પરિવહન ઘટયું, હવે ભાડાંવધારાથી લઈને લોકડાઊન જેવી નોબતનું ભયસ્થાન!
રાજકોટ, : સરકાર ભલે કહે કે ઈંધણની અછતની વાત અફવામાત્ર છે, પણ વાસ્તવમાં ચિત્ર જુદું છે. ખાસ કરીને ડીઝલની ઉપલબ્ધિ ઘટતાં એક તરફ જ્યાં રાજ્યભરના હજારો કૃષિકારોને ખેતીકાર્યમાં અવરોધ આવી પડયો છે અને ઔદ્યોગિક એકમોને પણ લોકડાઊન જેવી આફત દેખાતી થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ ગુજરાતમાં ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન તો અત્યારની સ્થિતિએ જ 30થી 40 ટકા ઘટી ગયું છે. માલ પરિવહન ખોરવાવા લાગ્યું તેની સીધી અસર આગામી દિવસોમાં દરેક ક્ષેત્રે વર્તાય અને કરિયાણુ- દૂધ- શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજ-વસ્તુઓના ભાવ ભડકે બળે એવી પણ શક્યતા ઊભી થઈ છે.
પેટ્રોલ- ડીઝલના ધંધાર્થીઓ કહે છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) રિટેઈલ આઊટલેટ્સને ડ્રાય થવા નથી દેતી એ તો જનમાનસમાં પેનિક ફેલાતો રોકવાની ચેષ્ટારૂપ જ છે, પણ સમાંતરે ઉદ્યોગોને ડીઝલ ન આપવાની તાકીદ કરાતી રહે છે અને ટ્રાન્સપોર્ટ ટ્રકો ચલાવવા માટેની ડીઝલ ફાળવણીમાં પણ કાપ આવી ગયો છે. હાલના સંજોગોમાં (1) સહકારી મંડળીઓના પમ્પોને અપાતા ડીઝલના ભાવ ખાસ્સા ઊંચકાયા છે તેમજ (2) રાજ્યમાં પેટ્રોલ- ડીઝલનાં ત્રણ પબ્લિક સેક્ટર યુનિટ્સ પછીના ક્રમે વેચાણમાં મોટો હિસ્સો ધરાવતી ખાનગી ઓઈલ કંપનીના પમ્પ સ્લો થઈ ગયા છે. આ બંને કારણસર, ત્યાં વેચાણ બંધ કરી દેવાયું તેનાં પરિણામે, તેના ગ્રાહકો એવા જથ્થાબંધ વપરાશકર્તા (જેમ કે ટ્રાન્સપોર્ટ ટ્રકો) પણ સામાન્ય વાહનધારકો માટેના રિટેઈલ પમ્પો તરફ વળ્યા છે અને તેથી ત્યાં અફરાતફરી થવા લાગી છે.
જ્યાંથી અંદાજે 80,000 ટ્રક- ટેન્કરો મારફત લાકડું, કોલસો, મીઠું, ભંગાર તેમજ પેટ્રોલ-ડીઝલ ઈતિયાદીની આવાજાહી રહે છે એવા કચ્છમાં ટ્રાન્સપોર્ટરોને ડીઝલ મળવામાં મુશ્કેલી વધી જતાં ટ્રકો મારફત પરિવહનમાં ઓટ આવી છે. વિવિધ ટોલપ્લાઝા પર ટોલટેક્સની ઘટતી જતી રોજીંદી આવક પણ તેનાં એક પ્રમાણરૂપ છે. આગામી તા. 1 પછી હડતાલ માટેની વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કચ્છ ઉપરાંત જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ અસર વર્તાવા લાગી છે, તો રાજકોટમાં આવતીકાલ- ગુરુવારે ટ્રાન્સપોર્ટરો જિલ્લા પુરવઠા અધિકારીને અને કલેક્ટરને આવેદન આપી ડીઝલ સપ્લાય વધારવા માટે રજૂઆત કરવાના હોવાનું જાણવા મળે છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશને આજે આ મુદ્દે પુરવઠા મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર મારફત વ્યથા લખી મોકલી છે.









