
ચોમાસામાં પૂરનું જોખમ ઊભું થવાની સંભાવના : મચ્છુ નદીના પાણીના પ્રવાહને રોકતી દીવાલ તોડવાના આદેશનો પણ 2વર્ષથી ઉલાળિયો : સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ
મોરબી, : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના કાંઠે નિર્માણ પામી રહેલા નવા સ્વામીનારાયણ મંદિરના સત્તાધીશો દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. નદીના કુદરતી પ્રવાહને અવરોધતી દીવાલ હટાવવાના કલેક્ટરના કડક આદેશને બે વર્ષ વીતી ગયા હોવા છતાં સરકારી તંત્રની લાલીયાવાડી અને ઢીલી નીતિને કારણે આ દીવાલ આજે પણ જેસે-થે સ્થિતિમાં ઊભી છે. આ નિષ્ક્રિયતાનો ફાયદો ઉઠાવીને હવે મંદિર પ્રશાસન દ્વારા બાંધકામનો કાટમાળ અને કચરો સીધો મચ્છુ નદીના પટમાં પધરાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થયા છે.
વર્ષ-2024માં જ્યારે મચ્છુ નદી કાંઠે દીવાલ ઉભી કરવામાં આવી હતી, ત્યારે અધિકારીઓના રિપોર્ટના આધારે તત્કાલીન કલેક્ટરે પૂરની ભયાનક સ્થિતિ સર્જાવાની ભીતિને ધ્યાને રાખીને દીવાલ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.










