અમદાવાદ,બુધવાર,8 ઓકટોબર,2025
શહેરના પાલડી વિસ્તારમાં વર્ષા ફલેટના વિવાદની જેમ નૂતન
સર્વોદય સોસાયટીનો વિવાદ સામે આવ્યો છે.બુધવારે પોલીસ બંદોબસ્ત સાથે સોસાયટીના
બંગલાનુ બાંધકામ તોડવા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ છેલ્લી
ઘડીએ બાંધકામ કરનારે હાઈકોર્ટમાં કાર્યવાહી કરી સ્ટે મેળવી લેતા કોર્પોરેશનની
ટીમને વીલા મોંએ પરત ફરવુ પડયુ હતુ.
પાલડી વિસ્તારમા આવેલી ૧૧ બંગલાની આખી સોસાયટી મુસ્લિમ
ખરીદદારને વેચી દેવામા આવતા આ મામલે અશાંતધારા એકટ હેઠળ વેચાણ રદ કરવા કલેકટર
કચેરીમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી શાહે ફરિયાદ કરી છે.આ અંગે પ્રાપ્ત થતી
વિગત મુજબ, પાલડીમા
આવેલ નૂતન સર્વોદય કો.ઓ.હા.સો.લી.ના મહત્તમ સભ્યો દ્વારા તેમના ફલેટને મુસ્તફામિયા
હુસેનમિયા શેખને વેચાણ કરી દીધા છે.ધારાસભ્યે અશાંતધારાની પરવાનગી સિવાય કરવામા
આવેલા વેચાણને રદ કરવા કલેકટર સમક્ષ ફરિયાદ કરી છે.ફરિયાદમાં માલિકીહક તબદીલ નહીં
કરવા ઉપરાંત દસ્તાવેજ પણ મુળથી રદ કરવા રજૂઆત કરી હતી.આ મામલે કલેકટર
સમક્ષ થયેલી ફરિયાદ પછી મુસ્તફામિયા શેખ સહીત અન્યોને નોટિસ પાઠવી અશાંતધારા
અંતર્ગત સ્પષ્ટતા માંગી હતી.સોસાયટીના મોટાભાગના મકાનોના બાનાખત કરાવી લેવામા
આવ્યા છે.સોસાયટીના પ્રથમ બંગલામા જ કોમર્શિયલ અને રહેણાંક પ્રવૃત્તિ ચાલતી
હતી.જેમાં કોમર્શિયલમા તબદીલ કરવા કોર્પોરેશન સમક્ષ અગાઉ થયેલ ઈમ્પેકટફીની
કાર્યવાહી કરવા તંત્રે અરજી રદ કરી દીધી હતી.અન્ય રીતે મ્યુનિ.દ્વારા પ્લાન પણ
નામંજૂર કરવામા આવ્યો હતો.તે સાથે યથાવત સ્થિતિ જાળવવા માટે સુચના અપાઈ હતી.જો કે
ત્યાં બાંધકામ શરુ કરાયુ હોવાનુ ધ્યાનમા આવતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની
ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.અરજદારે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લેતા કોર્પોરેશનની
ટીમને પરત ફરવુ પડયુ હતુ.










