![]()
Iran and Israel War effect on Gujarat : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઉદ્ભવેલી ગેસની કટોકટીને પગલે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય સ્થગિત કરી દેવામાં આવતા ગુજરાતના ફૂડ ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન (NRAI) અને ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પાઈપલાઈન ધરાવતી મોટી રેસ્ટોરન્ટ્સ સુરક્ષિત છે, પરંતુ સિલિન્ડર પર નિર્ભર એવા 30% જેટલા નાના એકમો, ક્લાઉડ કિચન, લારી-ગલ્લા અને કેટરિંગ ઉદ્યોગ માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે છે અને મેનુના ભાવમાં પણ 10% જેવો વધારો થવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિમાં સંઘર્ષના માર્ગે નીકળવા અને સરકાર પાસે ગેસનું ‘રાશનિંગ’ કરીને પણ સપ્લાય ચાલુ રાખવાની રજૂઆત કરવામાં આવી રહી છે, જેથી કોવિડ જેવી આર્થિક પાયમાલીથી બચી શકાય.
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કો ચેપ્ટર હેડ અમદાવાદના દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યારે ગેસની મોટી સમસ્યા સર્જાઈ છે અને રેસ્ટોરાં માટે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં એસજી હાઈવે તરફના લગભગ 70% રેસ્ટોરાં અદાણી ગેસ લાઈન સાથે જોડાયેલા હોવાથી તેમને વાંધો નહીં આવે, પણ બાકીના 30% રેસ્ટોરાં, ક્લાઉડ કિચન અને આઉટડોર કેટરિંગ જે સિલિન્ડર પર ચાલે છે, તેમના માટે ટકી રહેવું એક મોટો પડકાર છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો કોવિડ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં અનેક લોકોની નોકરીઓ જશે અને ધંધાની બેલેન્સશીટ પર પણ માઠી અસર પડશે. એક માણસની નોકરી જવાથી તેના પર નિર્ભર ચાર વ્યક્તિના પરિવારને મુશ્કેલી પડશે, એટલે આ માત્ર ધંધાની નહીં પણ હજારો પરિવારોના ગુજરાનની પણ સમસ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં અમે હાર માનવાને બદલે સંઘર્ષ કરીને રસ્તો કાઢવા માંગીએ છીએ. અમે હોટલ માલિકોને સૂચન કર્યું છે કે તેઓ ગેસનો વપરાશ ખૂબ જ સમજી-વિચારીને કરે, ખોટો બગાડ અટકાવે અને મેનુમાં એવી વાનગીઓ રાખે જેમાં ગેસ ઓછો વપરાય. આ ઉપરાંત, રસોઈ માટે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન, ઓવન કે પછી કોલસા અને લાકડા જેવા વૈકલ્પિક માધ્યમો અપનાવવા પણ અમે વિચારી રહ્યા છીએ. અમદાવાદમાં નાના-મોટા મળીને આશરે 10,000 જેટલા એકમો છે જે આખા શહેરને ખવડાવવાનું કામ કરે છે, તેથી અમે સરકારને પણ રજૂઆત કરીશું કે સપ્લાય સાવ બંધ કરવાને બદલે તેનું રાશનિંગ કરવામાં આવે. જો સરકાર રેસ્ટોરાં માલિકો અને ગ્રાહકો સહિયારો પ્રયાસ કરીશું, તો આ આફતમાંથી ચોક્કસ બહાર નીકળી શકાશે.
ગુજરાત હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, મિડલ ઈસ્ટમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે તેના લીધે ભારતમાં ઓઈલ અને ગેસના પુરવઠામાં મુશ્કેલી આવી રહી છે અને સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય સસ્પેન્ડ કરવાનો જે નિર્ણય લીધો છે તેની ગંભીર અસર અત્યારે જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતમાં લગભગ 70થી 80% રેસ્ટોરન્ટો અદાણી ગેસ પાઈપલાઈન પર ચાલે છે એટલે એમને હજુ સુધી કોઈ ઈમ્પેક્ટ આવ્યો નથી, પણ જે 15થી 20% નાની રેસ્ટોરન્ટો અને લારી-ગલ્લાઓ છે જે કોમર્શિયલ સિલિન્ડર પર નિર્ભર છે, તેમને કાલથી જ સિલિન્ડર મળતા બંધ થઈ ગયા છે. મેં IOC અને ડિસ્ટ્રીબ્યુટરો સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે હાલ સપ્લાય મળવાની શક્યતા નહિવત છે, જેના લીધે આજે અમુક નાના રેસ્ટોરન્ટ બંધ થવા લાગ્યા છે અને જો આ સ્થિતિ રહી તો બે દિવસમાં અમદાવાદના 5,000 અને આખા ગુજરાતના લગભગ 10,000 જેટલા નાના એકમો બંધ થઈ જશે. ઇલેક્ટ્રિક ઉપકરણો ઘણા મોંઘા છે અને દરેક માટે તાત્કાલિક વસાવવા પોસિબલ નથી, એટલે સિલિન્ડર વગર કામ ચલાવવું મુશ્કેલ છે.
તેમણે જણાવ્યું કે, કેટરિંગ ઇન્ડસ્ટ્રી માટે તો અત્યારે બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે કારણ કે તેઓ સંપૂર્ણપણે સિલિન્ડર પર જ નભે છે; ઓલ ઇન્ડિયાના પ્રમુખ હોવાથી મને દેશભરમાંથી ફોન આવી રહ્યા છે કે જે ફંક્શનોના એડવાન્સ અને બુકિંગ લઈ લીધા છે તે ઓર્ડર કેવી રીતે પૂરા કરવા. જો આ પરિસ્થિતિ લાંબી ચાલી તો કોવિડ જેવી હાલત થશે, શ્રમિકો ગામડે જતા રહેશે અને ઇન્ડસ્ટ્રીને ફરી બેઠી થતા પાંચ-છ મહિના લાગશે. અત્યારે મિનરલ વોટર જેવી વસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે અને આગામી સમયમાં રેસ્ટોરન્ટના ભાવમાં પણ 10% જેવો વધારો જોવા મળશે. અમે આ બાબતે રાજ્ય પુરવઠા મંત્રી, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને વડાપ્રધાનને પણ પત્ર લખી રજૂઆત કરી છે કે ભલે 10ની જગ્યાએ 8 સિલિન્ડર આપો, પણ સપ્લાય ચાલુ રાખો જેથી નાના રેસ્ટોરન્ટ વાળાઓનું કામ ચાલે અને લોકો બેરોજગારીથી બચી શકે.









