![]()
વડોદરા,તાજેતરમાં એમ.એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં કરંટ લાગતા વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ બનાવ બાદ યુનિવર્સિટી તંત્રે પગલાં ભરવાનું ચાલુ કર્યું છે. યુનિ. કેમ્પસ વિદ્યાર્થીો સુરક્ષિત બને તે માટેનું કામ હાથ ધરાયું છે.
યુનિવર્સિટીમાં ઈલેકટ્રિસિટીના સ્ટ્રક્ચરની તપાસાર્થે એક સમિતિનું ગઠન કર્યું હતું. સમિતિએ યુનિ. કેમ્પસમાં ઈલેક્ટ્રિકલ સ્ટ્રક્ચરની ક્ષતિઓ અંગે પ્રાઈમરી સર્વે કર્યા બાદ રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટના આધારે જરૃરી કામગીરી કરવા તમામ રિપોર્ટના ફેકલ્ટીના ડીનને સેફ્ટી સંદર્ભે જે કાંઈ કામ કરવાનું છે તે માટે ખર્ચ કરવા સત્તા આપી છે.
યુનિવર્સિટીમાં ઘણી જગ્યાએ ઈલેક્ટ્રિકલ બોર્ડ અને ખુલ્લા વાયરની ચકાસણી કરી તેનું રિપેરિંગ કરવા સૂચના આપી છે. તમામ ફેકલ્ટીમાં કરંટ ન લાગે અથવા તો તેનું જોખમ નિવારવા મિનીએચર સર્કિટ બ્રેકર (એમસીબી) અને અર્થ લીકેજ સર્કિટ બ્રેકર (ઈએલસીબી) લગાડવા સૂચના આપી છે. આ કામગીરી ફરજિયાત કરવા કહ્યું છે.
યુનિ. કેમ્પસ વિશાળ છે અને ચોતરફ પથરાયેલું હોવાથી મગર, વીંછી, સાપ અંદર ઘૂસી ન આવે તે માટે ડિસેમ્બર મહિનામાં ઝાડી-ઝાંખરાની સફાઈ કરવા કહ્યું છે. કેમ્પસમાં વીંછી, મગર અને સાપને કારણે પણ વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાય છે. કેમ્પસને સુરક્ષિત બનાવવાની કામગીરી દિવાળીની રજાઓમાં કરી દેવા તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.










