![]()
જેતપુર-રાજકોટ હાઇ-વે પર ગોઝારો અકસ્માત
ધારેશ્વર સૂર્ય મંદિરે દર્શનાર્થે જતા હતા ત્યારે કાળ આંબી ગયો, અકસ્માત બાદ કાર ચાલક ફરાર
જેતપુર: જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર રબારીકા ચોકડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર દાદા અને માસૂમ પૌત્રના કરૂણ મોત નીપજ્યા હતા. દર્શનાર્થે જતા સમયે જ કાળ આંબી જતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરધારપુર ગામે રહેતા ૫૫ વર્ષીય બચુભાઇ લાલુ તેમના ૧૧ વર્ષીય પૌત્ર હરદીપ લાલુ સાથે બાઇક પર ધારેશ્વર સૂર્ય મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા, તે દરમિયાન જેતપુરની રબારીકા ચોકડી પાસે એક કાર ચાલકે તેમના બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા જ ૧૧ વર્ષીય માસૂમ હરદીપનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક બચુભાઇ લાલુ હવામાં ફંગોળાઇને સીધા પુલ નીચે ખાબક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બચુભાઇને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં દાદા-પૌત્રની ચિરવિદાયથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
અકસ્માતની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની અને સીસીટીવી ફુટેજ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.










