Gujarat Diamond Industry Crisis: ગુજરાતમાં હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં આવ્યુ છે પરિણામે સ્થિતી એવી સર્જાઈ છેકે, દિવાળી પછી હજુ સુધી માંડ 50 ટકા કરતાંય ઓછા કારખાના શરુ થઈ શક્યા છે. હીરાની માંગમાં ઘટાડો થતાં કારખાનાના માલિકો સાહસ કરવાના મતમાં નથી. આ કરુણ પરિસ્થિતિને લીધે હીરાના કામદારો નાછૂટકે અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર બન્યા છે.
અમદાવાદમાં 50% હીરા કારખાના બંધ
સામાન્ય રીતે અમદાવાદમાં બાપુનગર સહિત પૂર્વ વિસ્તારોમાં દેવદિવાળી સુધીમાં હીરાના કારખાનામાં ખૂલી જતા હતા, પણ હજુ સુધી 50 ટકા કારખાનાઓને ખંભાતી તાળા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં હજારો લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાઈ રોજી મેળવી રહ્યા છે ત્યારે મંદી ઉપરાંત રશિયા, યુક્રેન યુદ્ધે હીરા ઉદ્યોગની આર્થિક સ્થિતિ ડગુમગુ કરી છે. અમેરિકાએ ટેરિફ નાંખતા હીરા ઉદ્યોગનું અસ્તિત્વ જોખમાયું છે. સાથે સાથે રત્ન કલાકારોની રોજી પર અસર પડી છે.
કામદારોના પગાર ચૂકવવામાં મુશ્કેલી
ઘણાં હીરાના કારખાના કાયમી ધોરણે બંધ થયા છે. હીરા ઉદ્યોગની સ્થિતિ એટલી હદે કથળી છેકે, કામદારોને પગાર આપવાના પણ ફાંફા છે. નાછૂટકે કામદારોને છૂટા કરાયા છે. હવે રત્ન કલાકારોને રોજી આપી શકાય તેમ નથી. આ પરિસ્થિતિમાં ઘણાં કારખાનેદારોએ તો હીરા ઉદ્યોગને અલવિદા કહી અન્ય વ્યવસાય શરુ કર્યો છે.
આ પણ વાંચો: NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે
હીરા ઉદ્યોગ માટે સહાય પેકેજ ઠાલા વચન
હીરાના કારખાનેદારોનું કહેવું છે કે, મરણપથારીએ પડેલા હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું પણ તે માત્ર ઠાલા વચન હોય તેવું સાબિત થયું છે કેમકે, હજુ સુધી રત્ન કલાકારોના સંતાનોની ફીને લઈને 26 હજાર અરજીઓ પડી રહી છે. સરકારમાં રજૂઆત કર્યા પછી ય કોઈ સાંભળવા તૈયાર નથી. આ ઉપરાંત વિજ બીલમાં રાહત આપવાની નક્કી કરાયું હતું પણ હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી. રૂ.5 લાખ લોન આપવા પેકેજમાં ઉલ્લેખ કરાયો હતો પણ કોઈને લાભ મળી શક્યો નથી.
આમ, રાજ્ય સરકારે હીરા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મોટા ઉપાડે જાહેરાત કરી પણ નક્કર પગલાં લીધાં નથી જેથી રત્ન કલાકારોની સાથે સાથે હીરાના કારખાનેદારોની પણ કફોડી દશા થઈ છે.











