![]()
Dhirendra Shastri Event in Rajkot: બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી વિવાદમાં ફસાયા છે. રાજકોટમાં યોજાયેલા તેમના ‘દિવ્ય દરબાર’ બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. દિવ્ય દરબારના નામે ભૂત-પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે પંડાલમાં સર્જાયેલી અંધાધૂંધીના વીડિયો વાઇરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
મહિલા લોકો પર કર્યો હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર, દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહવાન કે વિશિષ્ટ હુંકાર કર્યો હતો. આ હુંકાર બાદ દરબારમાં હાજર લોકોમાં અચાનક કેટલાક લોકો કથિત રીતે ‘ધૂણવા’ લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર ‘પ્રેત’ આવ્યું હોવાના નામે તે ધૂણવા લાગી હતી. જોતજોતામાં આ ધૂણતી મહિલાએ કાબૂ ગુમાવ્યો હતો અને ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો, જેના કારણે પંડાલમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચો: વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા
બાબા મંચ પરથી મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા!
દરબારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી ગંભીર સ્થિતિ સર્જાઈ હોવા છતાં અને લોકો અંદરોઅંદર ધૂણીને આક્રમક થઈ રહ્યા હોવા છતાં, ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટનાક્રમ મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તે આ અંધાધૂંધી અને અંધશ્રદ્ધાભર્યા માહોલને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો, જે બાબતે હવે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
વિજ્ઞાનના યુગમાં અંધશ્રદ્ધા ફેલાવવા બદલ બુદ્ધિજીવીઓમાં ભારે આક્રોશ
આજના આધુનિક યુગમાં આ પ્રકારે જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હોવાથી બુદ્ધિજીવીઓ, તાર્કિકો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે ડિજિટલ યુગમાં આવા કૃત્યોને કેવી રીતે મંજૂરી મળી શકે? આ સાથે જ પ્રશાસન અને સ્થાનિક તંત્ર આવા કાર્યક્રમો સામે કેમ આંખ આડા કાન કરે છે એવા તીખા સવાલો પણ ઊઠી રહ્યા છે.










