![]()
Vadodara : ટ્રાફિકથી ધમધમતા રાવપુરા-ઘી કાંટા રોડ પર આવેલા અતિ જર્જરિત હર હરેશ્વર મંદિરનો આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદભાગ્યે કોઈને ઇજા કે જાનહાની થઈ નથી. સલામતીના કારણોસર મંદિરનું વીજળી કનેક્શન કાપી નંખાયું હતું.
રાવપુરા-ઘી કાટા રોડ પર જર્જરિત હર હરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં ભક્તજનો નિયમિત રીતે દર્શનાર્થે આવી ભક્તિ કરે છે. મંદિરની આસપાસની મિલકતો પણ જર્જરિત અવસ્થામાં છે. અગાઉ પણ આ મંદિરમાંથી વારંવાર પોપડા ખરી પડવાના બનાવો બન્યા હતા. જેથી સ્થાનિકોએ વોર્ડ કચેરીએ ચારથી પાંચ વાર જાણ પણ કરીને લેખિત રજૂઆતો કરાઈ હતી. સ્થળ નિરીક્ષણ માટે આવતા પાલિકા કર્મીઓ જર્જરિત મંદિરની મિલકત ઉતારી લેવા બાબતે જણાવે છે અને મંદિરના દરવાજે પણ નોટિસો ચિપકાવીને જતા રહે છે. જ્યારે ટ્રસ્ટીઓ તમારું કામ કરો તેમ જણાવે છે. તમને યોગ્ય લાગે તો જર્જરિત મંદિરની મિલકત ઉતારી લો. પરંતુ કોઈ પહેલ કરવા તૈયાર નથી. મંદિરનો આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યાની જાણ ફાયર બ્રિગેડ તંત્રને કરાતા લાશ્કરો ફાયર ફાઈટર સાથે દોડી આવ્યા હતા. સ્થાનિકોને કંટ્રોલ કરવા ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. મંદિરનો તૂટી પડેલ ભાગનો કાટમાળ લાસ્કરોએ હટાવી દીધો હતો જ્યારે સલામતીના કારણોસર મંદિર મિલકતનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.








