![]()
Ration Card Policy Change: કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્ત્વનું પગલું લીધું છે. સરકારે બુધવારે હાલના PDS નિયમોમાં સુધારો કર્યો છે અને દર પાંચ વર્ષે તમામ રાશનકાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક e-KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી, ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનો છે.
શું છે નિયમ?
કેન્દ્ર સરકારના ગ્રાહક તેમજ ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બુધવારે સત્તાવાર સૂચના બહાર પાડી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘લક્ષ્યાંકિત જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ) સંશોધન આદેશ, 2025’ હેઠળ, પારદર્શિતા વધારવા, ડુપ્લિકેશન અટકાવવા અને સબસિડીના લક્ષ્યાંકને સુધારવા માટે PDSમાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જે હેઠળ, રાજ્ય સરકારોએ બધા યોગ્ય પરિવારો માટે દર પાંચ વર્ષે ફરજિયાત રીતે ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ પ્રક્રિયામાં, અયોગ્ય પરિવારોને લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવામાં આવશે અને નવા યોગ્ય પરિવારોનો સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન
નવા રાશન કાર્ડ માટેની લઘુતમ ઉંમર
નવા નિયમો મુજબ, અલગ રાશન કાર્ડ માટે લઘુતમ ઉંમર હવે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ પગલાથી ખાતરી થશે કે ફક્ત યોગ્ય વ્યક્તિઓને જ રાશન કાર્ડ દ્વારા સબસિડી મળશે. કોઈપણ વ્યક્તિ 18 વર્ષની ઉંમર સિવાય પોતાનું આગવું રાશન કાર્ડ નહીં મેળવી શકે. પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોના આધાર નંબર (જો ઉપલબ્ધ હોય તો) એકત્રિત કરવા જોઈએ અને તે પાંચ વર્ષના થાય ત્યાર બાદ એક વર્ષની અંદર e-KYC કરાવવું જરૂરી છે.
આ લાભાર્થીઓના રાશન કાર્ડ થઈ જશે નિષ્ક્રિય
જાહેરનામાંમાં કહેવામાં આવ્યું કે, ‘જે લાભાર્થીઓ છેલ્લાં 6 મહિનામાં પોતાના અધિકારોનો લાભ નહીં લે, તેમના રાશન કાર્ડ અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરી દેવામાં આવશે. રાજ્ય સરકારને લાયકાતનું પુનર્મૂલ્યાંકન કરવા અને આગળની કાર્યવાહી કરવા માટે ત્રણ મહિનાની અંદર ફિલ્ડ વેરિફિકેશન અને e-KYC પૂર્ણ કરવું પડશે.
વધુમાં, જો એક જ રાજ્યમાં રાશન કાર્ડ ડુપ્લિકેટ હોવાનું જણાય અથવા અલગ અલગ રાજ્યોમાં કામચલાઉ ધોરણે નિષ્ક્રિય કરવામાં આવે, તો લાભાર્થીઓને માન્ય દસ્તાવેજો સબમિટ કરીને અને e-KYC પૂર્ણ કરીને પોતાની લાયકાત સાબિત કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર
કેન્દ્રએ કહ્યું કે, નવા રાશન કાર્ડ જાહેર કરવા માટે First In, First Out (FIFO) પદ્ધતિ અનુસરવામાં આવશે. રાજ્યોએ પોતાના સાર્વજનિક વેબ પોર્ટલ પર એક વાસ્તવિક સમયની પારદર્શી પ્રતિક્ષા યાદી પ્રકાશિત કરવી જોઇએ, જેનાથી અરજદાર પોતાની અરજીની સ્થિતિ પર નજર રાખી શકે.’
શું છે e-KYC પ્રક્રિયા?
e-KYC એક ડિજિટલ ચકાસણી પ્રક્રિયા છે જેમાં રાશન કાર્ડ ધારકોએ આધાર કાર્ડ દ્વારા તેમની ઓળખ ચકાસવાની હોય છે. આ પ્રક્રિયા આધાર-આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ (ફિંગરપ્રિન્ટ અથવા આંખ સ્કેન) અથવા વન-ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા પૂર્ણ કરી શકાય છે. આધાર પ્રમાણીકરણ પછી, લાભાર્થીનું નામ, જન્મ તારીખ, સરનામું, લિંગ અને ફોટો જેવી મૂળભૂત માહિતી Unique Identification Authority of India (UIDAI) દ્વારા રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગોને પૂરી પાડવામાં આવશે. લાભાર્થીની ઓળખની પુષ્ટિ કરવા માટે આ ડેટાને PDS ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવશે.










