![]()
સંસંદમાં ગુરૂવારે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજિવિકા મિશન (ગ્રામીણ) (વીબી-જી રામ જી) બિલને મંજૂરી આપી છે. આ સાથે જ મનરેગાનું સ્થાન હવે ‘જી રામ જી’ કાયદાએ લઇ લીધુ છે.
ગ્રામીણ પરિવારો માટે હવે દરેક વર્ષે મજૂરી રોજગાર ગેરંટીને ૧૨૫ દિવસ સુધી વધારી દેવામાં આવી છે. સંસદમાં ગુરુવારે વિપક્ષના વિરોધ વચ્ચે જી રામ જી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.
ગ્રામીણ વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગાંધીજીના આદર્શોની હત્યા કરી છે. જ્યારે મોદી સરકારે આ આદર્શોને જીવિત રાખ્યા છે. ચૌહાણે મનરેગા યોજનાની જગ્યાએ નવો કાયદો લાવવા અને તેમાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતાં.
શિવરાજ સિંહ ચૌહાણે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ નેતૃત્ત્વવાળી સરકારે મનરેગા સંપૂણ તાકાતથી અમલમાં મૂક્યો ન હતો અને વડાપ્રધાન મોદીએ આ યોજનાને યોગ્ય રીતે અમલમાં મૂકી છે.
તેમણે યુપીએ અને એનડીએ સરકારના સમયમાં આ યોજનના અમલની સરખામણી કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં ૧૬૬૦ કરોડ શ્રમ દિવસનું સર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે મોદી સરકારમાં ૩૨૧૦ કરોડ શ્રમ દિવસનું સર્જન કરવામાં આવ્યું હતું. મોદી સરકાર અગાઉ આ યોજનામાં મહિલાઓની ભાગીદાી ૪૮ ટકા હતી. જે આ સરકારના સમયમાં વધીને ૫૬.૭૩ ટકા થઇ ગઇ છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ તો ગાંધીનાં નામની ચોરી કરવાનો પાપ કર્યુ છે. જી રામ જી કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ વિઝિયનની સાથે જોડાયેલ છે.
જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર, આજિવિકા અને કૃષિ ઉત્પાદકતાને મજબૂત કરવાનો છે.










