![]()
ક્રાઇમ બ્રાંચે મિલ્કતોની તપાસ માટે રિમાન્ડ માંગ્યા હતા
ત્રણેય આરોપીઓ પાસેથી હજુ સુધી કોઇ રકમની રિકવરી થઇ શકી નથી
રાજકોટ: રૂા.28 કરોડની ટેક્સ ચોરીનાં કેસમાં ધરપકડ કરાયેલાં ઇગલ પરિવારનાં બે ભાઇઓ જયેન્દ્ર બાવરીયા અને મનીષને અદાલતે જેલહવાલે કરવાનો હુકમ કરતાં બંને આરોપીઓને પોપટપરા જેલ ખાતે મોકલી અપાયા હતા. તે પહેલાં બંને આરોપીઓની રાત ક્રાઇમ બ્રાંચના લોકઅપમાં વિતી હતી.
આરોપીઓની પેઢી ઇગલ ફોર્ડ મોટર્સે રૂા.૨૮ કરોડની વેટ અને કેન્દ્ર સરકારનાં વેરાની ચોરી કર્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બંને આરોપીઓનાં એક ભાઇ દિનેશની અગાઉ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. જ્યારે જયેન્દ્રને ગઇકાલે અમદાવાદ રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો. મનીષને રાજકોટ ક્રાઇમ બ્રાંચે મોટી ટાંકી ચોક પાસેથી ઝડપી લીધાનો દાવો કર્યો હતો.
આજે બંને આરોપીઓને ક્રાઇમ બ્રાંચે સાત દિવસનાં રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં રિમાન્ડની માગણી કોર્ટે નામંજૂર કરી બંને આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું કે, આરોપીઓની મિલ્કતોની તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આરોપીઓ સામે જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેમાં પાંચ કરતાં ઓછા વર્ષની સજાની જોગવાઇ છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓની કંપની ફડચામાં ગઇ હતી. ત્રણેય આરોપીઓની ધરપકડ પછી પણ આ કેસમાં કોઇ રિકવરી થઇ શકી નથી.










