![]()
Ahmedabad News: અમદાવાદમાં 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ચકચારભર્યાં કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી સહિત ત્રણ આરોપીઓને પાંચ-પાંચ વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. વધુમાં કોર્ટે આરોપી વિશાલ ગોસ્વામી અને રિન્કુ ગોસ્વામીને 1.75 લાખ રૂપિયા અને અન્ય આરોપીઓ સતીષ ગોસ્વામીને ચાર-ચાર લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા પણ હુકમમાં ઠરાવ્યું હતું. આ કેસમાં અન્ય ચાર આરોપીઓને કોર્ટે શંકાનો લાભઆપી નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા.
જાણો શું છે મામાલો
કોર્ટે આરોપી વિશાલ ગોસ્વામી, રિન્કુ ગોસ્વામી અને સતીષ ગોસ્વામીને સજા ફટકારતાં ચુકાદામાં જણાવ્યું કે, આરોપીઓ સામે 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો કેસ નિશંકપણે પુરવાર થાય છે, તે જોતાં ન્યાયના હિતમાં આરોપીઓને યોગ્ય સજા કરવાની ન્યાયોચિત લેખાશે.
ચકચારભર્યા કેસના ટ્રાયલ દરમિયાન રાજ્ય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર ચેતન શાહ અને અધિક સરકારી વકીલ કમલેશ જૈને કોર્ટ સમક્ષ પૂરતા સાક્ષીઓ તપાસી અને દસ્તાવેજી પુરાવાઓ અદાલતના રેકર્ડ પર મૂકતાં જણાવ્યું હતું કે, શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા જવેલર્સ હર્ષદ ઝીંઝુવાડિયાને વર્ષ 2014-2015 દરમિયાન કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિતના આરોપીઓએ જુદા જુદા નંબરો પરથી ફોન કરી ધમકીઓ આપી હતી અને 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આરોપીઓએ ખંડણીની રકમ જમા કરાવવા માટે જુદા જુદા બેન્ક એકાઉન્ટ નંબરો પણ આપ્યા હતા. જેમાં હર્ષદભાઈ દ્વારા 11 લાખ રૂપિયા જેટલી રકમ પણ જમા કરાવાઈ હતી. જે પૈસા બાદમાં આરોપીઓએ ખાતામાંથી ઉપાડી લીધા હતા.
આ સમગ્ર મામલે હર્ષદભાઈના પુત્ર ધર્મેશભાઇએ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીખોર વિશોલ ગોસ્વામી, રિન્કુ ગોસ્વામી, સતીષગીરી ગોસ્વામી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી. સરકારપક્ષ તરફથી અદાલતનું ધ્યાનદોરતાં જણાવ્યું કે, આરોપીઓ શહેરના જુદા જુદા જ્વેલર્સ પાસેથી લાખો-કરોડોની ખંડણી વસૂલવાનું પૂર્વઆયોજિત ષડયંત્ર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. આરોપીઓ સામે અગાઉ પણ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોઈ તેનો ભૂતકાળ ગુનાઈત ઇતિહાસથી ખરડાયેલો છે. સાક્ષીઓના નિવેદનો અને રેકર્ડ પરના પુરાવાઓને જોતાં આરોપીઓને સમાજમાં દાખલો બેસે તે પ્રકારે કોર્ટે સખતમાં સખત સજા ફટકારવી જોઈએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ઉપરોકત ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો: પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત માછીમારોએ આપ્યું ‘અભયદાન’
વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુજરાતમાં સૌથી પહેલો ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો
ગુજરાતમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર આરોપીઓની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા હતા. શહેરમાં ત્યાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સક્રિય થઈ હતી. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા જવેલર્સ-વેપારીઓને ફોન પર ધમકીઓ આપી લાખો-કરોડો રૂપિયાની ખંડણી વસૂલવામાં આવતી હતી.
શું છે કુખ્યાત વિશાલ ગોસ્વામીનો ગુનાઈત ઈતિહાસ?
•વિશાલ ગોસ્વામીએ વર્ષ 2011માં બેન્ક લૂંટ સાથે રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.
•તેણે ભુજમાં બેન્ક ઓફ ઈન્ડિયાને નિશાન બનાવી 12 લાખ રૂપિયા લૂંટી લીધા હતા.
•વાસણામાં મુથૂટ ફાઈનાન્સમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ.
•વટવામાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કમાંથી 5.50 લાખ રૂપિયા લૂંટી લીધા.
•બાલકૃષ્ણ જ્વેલર્સના માલિક પંકજ સોનીને ગોળી મારી 2.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
•ગોલ્ડ પેલેસ જ્વેલર્સના માલિક પ્રકાશ પટેલ પર હુમલો, સદનસીબે બચાવ થયો
•જ્વેલર્સ પ્રકાશ સોની પાસેથી 2 લાખ રૂપિયાની લૂંટ.
•ઘાટલોડિયામાં નંદ જ્વેલર્સ પરના નિષ્ફળ હુમલામાં ગોસ્વામીના સાથીઓમાંથી એક પકડાયો.
•વિશાલે સોલામાં હોલમાર્ક જ્વેલર્સ પાસે 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
•અગાઉ ભાનુ જ્વેલર્સના માલિક પર હુમલો કરવામાં પણ સંડોવણી.










