![]()
– નડિયાદ શહેરના કપડવંજ રોડ પર
– 70 થી વધુ સોસાયટીના રહીશોને 3 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની નોબત આવી, ચૂંટણીના બહિષ્કારની ચીમકી
નડિયાદ : નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા ૪૦ વર્ષ જૂના એસઆરપી ફાટકને રેલવે વિભાગ દ્વારા કોઈપણ આગોતરી જાણ વગર અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારની ૭૦થી વધુ સોસાયટીઓમાં વસતા અંદાજે ૧૫૦૦૦થી વધુ નાગરિકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા હવે તેમને ૩ કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. રેલવે તંત્રના આ નિર્ણયથી રોષે ભરાયેલા રહીશોએ એકઠા થઈને તંત્ર સામે બાંયો ચઢાવી છે અને જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
એસઆરપી કેમ્પ સામેનું આ ફાટક દાયકાઓથી હજારો લોકો માટે જીવાદોરી સમાન હતું, પરંતુ રેલવે વિભાગે વહીવટી પ્રક્રિયાના નામે લોકોની સુવિધાનો વિચાર કર્યા વગર જ રસ્તો રોકી દીધો છે. આ માર્ગ બંધ થવાથી દરરોજ સવારે શાળાએ જતા નાના બાળકો અને નોકરીયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, રેલવે દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે સાઈડનો રસ્તો ફાળવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને કાચો છે, જ્યાંથી વાહન પસાર કરવું પણ જોખમી બની ગયું છે. સાંકડા રસ્તા પર સામસામે વાહનો આવી જતા સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને લોકોનો કિંમતી સમય તેમજ ઈંધણ વેડફાઈ રહ્યું છે. સ્થાનિક રહીશ બળદેવસિંહ રાજે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા માટે જ સાંકડો રસ્તો બનાવ્યો છે જે વાહનચાલકો માટે જોખમી છે. તેવી જ રીતે રહીશ ભવરસિંહ ગઢવીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ફાટક બંધ થતા હવે ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ સમયસર પહોંચી શકે તેમ નથી. જો કોઈ મોટી જાનહાની થશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા ગંભીર સવાલો રહીશો પૂછી રહ્યાં છે. લોકોના જીવ જોખમમાં મૂકીને લેવાયેલા આ નિર્ણય સામે રહીશોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે અને આંદોલનની રણનીતિ ઘડવામાં આવી રહી છે.
આ મામલે અગ્રણીઓએ ધારાસભ્યો, સાંસદ અને જિલ્લા કલેક્ટરથી લઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિતમાં રજૂઆતો કરી છે. વારંવારની ફરિયાદો અને રૂબરૂ મુલાકાતો પછી પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેલા તંત્ર સામે હવે રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી રસ્તો નહીં મળે ત્યાં સુધી તેઓ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેશે. રેલવે અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે સામાન્ય જનતા પીસાઈ રહી છે ત્યારે આ મામલો હવે નડિયાદમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
કટોકટીના સમયે સર્જાનારી મુશ્કેલીની ભીતિ
ફાટક બંધ થવાના કારણે આરોગ્ય વિષયક સેવાઓ ખોરવાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે. સોસાયટી વિસ્તારમાં કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવી હોય કે આગની કોઈ ઘટના બને ત્યારે ફાયરની ગાડીને પ્રવેશવામાં ભારે મુશ્કેલી પડશે. તંત્રએ વૈકલ્પિક રોડ બનાવવામાં કરેલી વેઠ ઉતારવાની કામગીરીના કારણે એમ્બ્યુલન્સ જેવા મોટા વાહનો ફસાઈ જવાની પણ પૂરેપૂરી શક્યતા છે.
રજૂઆતોનું પરિણામ શૂન્ય રહેતા આંદોલનનું એલાન
સ્થાનિક રહીશોએ છેલ્લા ઘણા સમયથી નડિયાદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા છે. ધારાસભ્ય અને સાંસદ સભ્યને આ બાબતે ગંભીરતાથી દરમિયાનગીરી કરવા વિનંતી કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ખાતરી મળી નથી. વારંવારની અવગણનાથી કંટાળેલા રહીશોએ હવે લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના બહિષ્કારને જ એકમાત્ર શસ્ત્ર બનાવવાનું નક્કી કર્યું છે.










