![]()
વડોદરા, તા.23 વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ છાયાપુરી રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો આવતી હોય છે. નવું રેલવે સ્ટેશન છતાં પણ અંદર તેમજ બહાર સીસીટીવી કેમેરાની કોઇ સુરક્ષા નહી હોવાથી ગુનેગારોને મોકળુ મેદાન મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છાયાપુરી રેલવે સ્ટેશન બે વર્ષ પહેલાં નવુ બન્યુ હતું. આ રેલવે સ્ટેશન પરથી ઉત્તર ભારત તરફ જતી દરેક ટ્રેનો પસાર થતી હોય છે. અનેક ટ્રેનોનું સ્ટોપેજ વડોદરા રેલવે સ્ટેશનના બદલે હવે છાયાપુરી રેલવે સ્ટેશન પર જ અપાયું છે જેના પગલે વડોદરાના પ્રવાસીઓએ ટ્રેન પકડવી હોય તો છાયાપુરી રેલવે સ્ટેશન જવું પડે છે.
આધુનિક રેલવે સ્ટેશન બનાવવાનો દાવો છતાં રેલવે સ્ટેશન પર એકપણ સીસીટીવી કેમેરા નથી તેમ પોલીસે આજે જણાવ્યું હતું. માત્ર આરપીએફની ઓફિસમાં જ કેમેરા છે જ્યારે પ્લેટફોર્મ કે રેલવે સ્ટેશનની બહાર પાર્કિગ એરિયામાં પણ સીસીટીવી કેમેરા નથી જેના કારણે રેલવે સ્ટેશન પર લૂંટ કરીને ફરાર થઇ ગયેલા બંને શખ્સોની ભાળ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.










