![]()
Lucknow Minor Misdemeanor Case: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. પીડિતા દિવ્યાંગ છે અને માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી દિનેશ કશ્યપની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ઘણા શંકાસ્પદોની પણ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ
પોલીસ માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના જાનકીપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મુખ્ય આરોપી દિનેશ કશ્યપ અને તેના એક અજાણ્યા સાથીએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે જાણ થતાં પીડિતાની માતાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી હતી.
કેસની ગંભીરતાને જોતા લખનઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસ ટીમોએ આ વિસ્તારમાં દરોડા પાડ્યા અને ચોવીસ કલાકની અંદર મુખ્ય આરોપી દિનેશ કશ્યપની ધરપકડ કરી લીધી છે.
અન્ય શંકાસ્પદોની પૂછપરછ શરૂ
મુખ્ય આરોપીની ધરપકડ સાથે પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય અજાણ્યા શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. પોલીસે ગુનામાં સંડોવણીના શંકાસ્પદ અન્ય ઘણા યુવાનોની પણ અટકાયત કરી છે. આ શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, પીડિતાની તબીબી તપાસ ચાલી રહી છે અને આ કેસમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.










