![]()
મુંબઈ : અખાતમાં યુદ્ધની સ્થિતિએ માત્ર ક્રુડ તેલની વૈશ્વિક બજારને ખોરવી નાખી નથી પરંતુ ભારતની નિકાસને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે મહત્વના દરિયાઈ માર્ગ પર લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને એક મહિનામાં નિકાસમાં ૪ અબજ ડોલરના નુકસાનની ગણતરી મુકાઈ રહી છે.
નુકસાનીના આંકને નીચે લાવવા ભારતના નિકાસકારો પોતાના માલસામાનને અન્ય માર્ગે રવાના કરવા વિકલ્પ શોધી રહ્યા છે એટલુ જ નહીં નવી નિકાસ બજારો તરફ પણ નજર દોડાવી રહ્યા છે.
પશ્ચિમ એશિયા ભારતનું મહત્વનું વિદેશ વેપાર જોડાણ છે. આ વિસ્તાર ભારતનો એક મોટો આર્થિક ભાગીદાર બની રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી આ વિસ્તારમાં ભારતના માલસામાનના વેપારમાં જોરદાર વધારો થઈ રહ્યો છે અને હાલમાં વધી તે વાર્ષિક ૧૮૦ અબજ ડોલર પર પહોંચી ગયો છે, એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સના ડેટા જણાવે છે.
૧૮૦ અબજ ડોલરના દ્વીપક્ષી વેપારમાં ૬૦-૬૫ અબજ ડોલર જેટલી નિકાસ છે જ્યારે ૧૨૦-૧૨૫ અબજ ડોલર જેટલી આયાતનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ભારત ખાતેથી એન્જિનિયરિંગ માલસામાન, વાહનો, કેમિકલ્સ, ગારમેન્ટસ, ફાર્મા વગેરેની નિકાસ થાય છે. પશ્ચિમ એશિયામાં યુએઈ, સાઉદી અરેબિયા મુખ્ય મથકો રહેલા છે.
આ વિસ્તારમાંથી ભારતની આયાતમાં મુખ્યત્વે ક્રુડ તેલનો સમાવેશ થાય છે.










