![]()
PM Modi’s Appeal: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદની રેલીમાંથી દેશવાસીઓને એક અત્યંત મહત્વપૂર્ણ અપીલ કરી છે. પીએમ મોદીએ લોકોને વિનંતી કરી છે કે આગામી ઓછામાં ઓછા એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવો જોઈએ. આ અપીલ પાછળ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો અને વિદેશી મુદ્રા ભંડારને બચાવવાનો મોટો વ્યૂહાત્મક ઈરાદો છુપાયેલો છે.
વૈશ્વિક પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડશે
ભારતીય પ્રવાસીઓ આજે દુનિયામાં સૌથી વધુ ખર્ચ કરનારા પ્રવાસીઓમાં સામેલ છે. વર્ષ 2023-24 ના આંકડા મુજબ, ભારતીયોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પાછળ અંદાજે ₹2.72 લાખ કરોડ ($31.7 અબજ) નો ખર્ચ કર્યો છે. જો પીએમ મોદીની અપીલ માનીને ભારતીયો એક વર્ષ સુધી વિદેશ જવાનું બંધ કરે, તો થાઈલેન્ડ, યુએઈ (દુબઈ), અમેરિકા, વિયેતનામ અને ઈન્ડોનેશિયા જેવા દેશોની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગી શકે છે.
ભારતને શું થશે ફાયદો?
જ્યારે આ જંગી રકમ વિદેશ જવાને બદલે ભારતમાં જ રહેશે, ત્યારે તેનાથી અનેક ફાયદા થશે:
વિદેશી મુદ્રા ભંડારની બચત: દર વર્ષે અબજો ડોલર જે વિદેશ જાય છે તે ભારતના ખજાનામાં સુરક્ષિત રહેશે, જેનાથી રૂપિયો મજબૂત થશે.
ઘરેલું પર્યટનમાં ઉછાળો: જો વિદેશ પ્રવાસની 50% રકમ પણ લક્ષદ્વીપ, કાશ્મીર, કન્યાકુમારી કે પૂર્વોત્તર ભારતમાં ખર્ચાય, તો સ્થાનિક હોટલ, એરલાઈન્સ અને હસ્તશિલ્પ ઉદ્યોગને ₹1.35 લાખ કરોડનો સીધો ફાયદો થશે.
રોજગારીની તકો: સ્થાનિક પ્રવાસન વધવાથી લાખો નવા ગાઈડ, ટેક્સી ડ્રાઈવર અને હોમસ્ટે માલિકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
પીએમ મોદીની અન્ય મહત્ત્વની અપીલ
વિદેશ પ્રવાસ ઉપરાંત પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત માટે અન્ય પાંચ મુખ્ય બાબતો પર ભાર મૂક્યો છે:
ઈંધણની બચત: પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ મર્યાદિત કરવાનો સંકલ્પ.
પબ્લિક ટ્રાન્સપોર્ટ: જ્યાં મેટ્રો ઉપલબ્ધ હોય ત્યાં તેનો જ ઉપયોગ કરવો.
કાર પૂલિંગ: ખાનગી વાહનોમાં એકલા જવાને બદલે સાથે વધુ લોકોને લઈ જવા.
સોનું ખરીદવાનું ટાળો: આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવાનો સંકલ્પ લેવો, જેથી આયાત ઘટે.
આર્થિક દેશભક્તિ: બિનજરૂરી વિદેશી ખર્ચ ઘટાડી દેશની આર્થિક સુરક્ષામાં ફાળો આપવો.










