![]()
Vadodara Fire : વડોદરાના વડસર વિસ્તારમાં આજે પરોઢિયે મોબાઈલ શોપમાં લાગેલી ભીષણ આગને કારણે ઉપર રહેતા રહેવાસીઓ અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાતા જીવ બચાવીને બહાર નીકળી ગયા હતા.
વડસર બ્રિજ નજીક વૈકુંઠધામ સોસાયટી બહાર આવેલી એક મોબાઈલ શોપમાં આજે પરોઢિયે લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. આગ એટલી ભીષણ હતી કે ઉપરના મકાન સુધી જ્વાળાઓ પહોંચી હતી અને આસપાસના ફ્લેટમાં ધુમાડા છવાયા હતા.
બનાવને પગલે લોકોમાં બુમરાણ મચી હતી અને જીવ બચાવી ફ્લેટમાંથી બહાર નીકળી આવ્યા હતા. જીઆઇડીસી ફાયર બ્રિગેડના સર સૈનિક દીપકભાઈ રાઠવાએ કહ્યું હતું કે, અમે પહોંચ્યા ત્યારે આગમાં આખી દુકાન લપેટાઈ ચૂકી હતી અને 15 ફૂટ જેટલી અગજવાળા જોવા મળતી હતી. એક કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણ રીતે કાબુમાં લઈ લેવામાં આવી હતી.
બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. આગમાં મોબાઇલ,રોકડ, ફર્નિચર તેમજ અન્ય ચીજ વસ્તુઓ ખાક થઈ ગયા હતા.










