![]()
Vadodara : વડોદરા શહેરમાં ગટરના ઢાંકણા ચોરી થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત આવી જ ચોરીની ઘટના શહેરના સયાજીગંજ વિસ્તારમાં સામે આવી છે. ભીમનાથ મહાદેવ મંદિર નજીક અજાણ્યા તસ્કરો ગટરના ઢાંકણા ચોરી લઈ જતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
આ અંગે એક સામાજિક કાર્યકરે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે ગટરના ઢાંકણા ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક પગલાં રૂપે નજીકમાંથી બેરીકેડ લાવીને ખુલ્લા ગટરના સ્થળે ગોઠવવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સામાજિક કાર્યકરે તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક નવા ઢાંકણા મૂકવામાં આવે.
સાથે જ તેમણે પોલીસ વિભાગને પણ સૂચન કર્યું છે કે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં ગટરના ઢાંકણા ચોરી થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.










