![]()
Vadodara : નેશનલ હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. દશરથથી દુમાડ ચોકડી વચ્ચે હાઇવે પર સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કામ દરમ્યાન મુખ્ય હાઇવે પર વાહન વ્યવહાર આંશિક રીતે અસરગ્રસ્ત રહેશે. જેને કારણે અહીં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
મુખ્ય હાઇવે પર કામગીરી ચાલુ હોવાથી તમામ નાના અને મોટા વાહનોએ ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવાની રહેશે. ડાયવર્ઝન તથા સર્વિસ રોડ પર ટ્રાફિકનું ભારણ વધી શકે છે, તેથી વાહન ચાલકોને ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક વાહન હંકાવવાની અપીલ કરવામાં આવી છે. સમારકામનું કામ આગામી તા.20થી 25 દરમિયાન ચાલુ રહેશે. માર્ગ પર કામ કરતા શ્રમિકો તથા અન્ય વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
ચોમાસા પહેલાં રોડની જાળવણીના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કારણે મુસાફરીમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ સુરક્ષિત મુસાફરી માટે વાહન ચાલકોનો સહકાર જરૂરી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.










