![]()
Vadodara : વડોદરા શહેર અને જિલ્લામાં એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી હાલમાં ચાલી રહી છે. બીએલઓ તેમજ તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ કામમાં આજ સુધી 1,45,283 મતદારો મૃત મળ્યા છે અને 2,25,297 મતદારો કાયમી વડોદરામાંથી શિફ્ટ થઇ ગયા હોવાનું ધ્યાન પર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક મહિના સુધી એસઆઇઆરની કામગીરી ચાલ્યા બાદ ચૂંટણીપંચ દ્વારા મુદત લંબાવવામાં આવતા હજી પણ મતદારો માટે વધુ સમય મળ્યો છે.
જિલ્લામાં મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશ અંતર્ગત શહેરની પાંચ અને જિલ્લાની પાંચ મળી કુલ 10 વિધાનસભા બેઠકો પર નોંધાયેલા કુલ 2689117, મતદારોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. બીએલઓ દરેક મતદારના ઘેર જઈને ચકાસણી ફોર્મ આપે છે અને તેને પરત મેળવે છે.
આ ઝુંબેશ દરમિયાન બીએલઓના ધ્યાન પર આવ્યું હતું કે 100498 મતદારો મળ્યા જ નથી. જે મતદારોનું મૃત્યુ થયું હોય, શિફ્ટ થયા હોય તેમજ હાજર ના મળ્યા હોય તેવા કુલ 505198 ફોર્મ હતાં આવા કુલ ફોર્મની ટકાવારી સામે 18.79 ટકાવારી નોંધાઈ આ મતદારોના નામો મતદારયાદીમાંથી કમી થવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર કુલ 99.53 કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
વડોદરામાંથી 505198 મતદારોના નામો કમી થઈ શકશે
વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકોમાં કુલ 2689117 મતદારોની નોંધણી હાલમાં થઈ છે. એસઆઇઆર અંતર્ગત | ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ દરમિયાન અનેક મતદારોના નામો કમી થઈ જશે તેમ જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઝુંબેશમાં મૃત મતદારો, કાયર્મી શિફ્ટિંગ થયા હોય અથવા ફોર્મના વિતરણ દરમિયાન મતદારો ના મળ્યા હોય તેવા કુલ 505198 મતદારો છે. આ મતદારોના નામો નવી મતદારયાદીમાંથી કમી થાય તેવી શક્યતાઓ છે.
579988 મતદારોના વર્ષ-2002ની યાદી સાથે મેપિંગ ના થઈ શક્યા
મતદારયાદી સઘન સુધારણા ઝુંબેશ દરમિયાન બીએલઓ દ્વારા વિતરણ કરવામાં આવેલા ફોર્મમાં અનેક મતદારોના નામો વર્ષ-2002ની મતદારયાદીમાં મળ્યા નથી. આવા મતદારો પાસેથી તેઓના ઓળખકાર્ડ મેળવવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલની મતદારયાદી તેમજ વર્ષ-2002ની મતદાર યાદીમાં 688888 મતદારોના નામોના મેપિંગ થઈ શક્યા નથી. મેપિંગ ના થયા હોય તેવા મતદારોની ટકાવારી 21.57 ટકા છે. જે મતદારોનું મેપિંગ થઈ શક્યુ નથી તેવા સૌથી વધારે મતદારો વડોદરા શહેર અને માંજલપુર વિધાનસભામાં છે.










