![]()
વડોદરા, તા.૨૩ મુજપૂર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ વડોદરા જિલ્લામાં આવેલા તમામ પૂલોની કરાયેલી ચકાસણી બાદ વધુ પાંચ પૂલ ઉપર ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરી દઇ ડાયવર્ઝન જાહેર કરાયા છે.
નિવાસી અધિક કલેક્ટરના જાહેરનામાઓ મુજબ જૂના આઠ નંબરના નેશનલ હાઇવે ઉપર ઢાઢર નદીના પૂલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ભારે વાહનોએ પોર તરફ જતા સેવા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત કરજણ-આમોદ જૂનો રેલવે બ્રિજ ઉપરથી પસાર થતાં ભારદારી વાહનોએ નેશનલ હાઇવે ૪૮થી આમોદ, ઉમજ અને પાદરા તરફ જતા ભારદારી વાહનોએ કરજણ ડાયવર્ઝન અણસ્તુ તરફ જતા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આમોદ, ઉમજ અને પાદરાથી નેશનલ હાઇવે ૪૮ તરફ જતાં ભારદારી વાહનોએ પણ આ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
વાઘોડિયા તાલુકાના રાજપૂરા ગામ પાસે એપ્રોચ રોડ ઉપર માયનોર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. રાજપૂરાના ગ્રામજનોએ તેના વિકલ્પે સરનેજ, ખંડેવાડાથી હાલોલ વડોદરા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. ખાખરિયા તરફના ગ્રામજનોએ મુઢેલા, શંકરપૂરા, પાલડી, ધનોરા, હરિપૂરા, જરોદથી હાલોલ વડોદરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
સાવલી તાલુકાના ધનતેજ પાસે આવેલા પૂલને પણ બંધ કરવામાં આવ્યો છે. તેના બદલે કંબોલા, નેવારિયા, પલાસા, રતનપૂર, ધનતેજ રોડથી કંબોલા રોડથી ધનતેજ તરફ જવું. ચાંપાનેર, મોટી ભાડોલ, વસનપૂરા, મેવલી, સાંઢાસાલ રોડ તરફ જવાનું રહેશે. વાઘોડિયા તાલુકાના લીલોરા પાલડી ખાખરિયા રોડ ઉપર વિશ્વામિત્રી નદી ઉપરનો જૂનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તેના બદલે પાલડી, ધનોરા, ધરીપૂરા, જરોદ, લીલોરા રોડ અને પાલડી, શંકરપૂરા, બોડીદ્રા, હાંસાપૂર, આસોજ લીલોરા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.










