![]()
Vadodara Harni Boat Tragedy : વર્ષ 2024 વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે નવા પક્ષકાર તરીકે સામેલ ઈન્શ્યોરન્સ કંપની – યુનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી છે. 18મો જાન્યુઆરી 2024માં વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં પિકનિકે આવેલા 12 વિદ્યાર્થીઓ અને બે સ્કૂલના ટીચરોએ જીવ ગુમાવ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી એન રેની ડિવિઝન બેન્ચે વડોદરા હરણી તળાવ દુર્ઘટના મુદ્દે દાખલ કરાયેલી જાહેરહિતની સુઓ મોટો અરજીમાં ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી પૂછ્યું કે કોર્ટના આદેશ બાદ ડેપ્યુટી કલેકટર અને SDM દ્વારા નક્કી કરાયેલું વળતર કેમ તેમના પર લાદવામાં ન આવે.
અરજદાર વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે કોન્ટ્રાકટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે બોટિંગ પ્રવુતિઓ માટે 9 જાન્યુઆરી 2024થી 8 જાન્યુઆરી 2025 સુધીનો યુનાઈટેડ ઇન્ડિયા કંપનીનો વીમો ઉપલબ્ધ હતો. હરણી તળાવ બોટ દુર્ઘટના આ સમયગાળા દરમિયાન જ બની હતી.
આ સાથે જ હાઈકોર્ટે કોન્ટ્રાકટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટ દ્વારા બે કથિત સંયુક્ત સાહસ ભાગીદારો – મેસર્સ ટ્રાઇસ્ટાર એન્ટરપ્રાઇઝ અને મેસર્સ ડોલ્ફિન એન્ટરપ્રાઇઝને પ્રતિવાદીઓ તરીકે દાખલ કરવાની અરજીને પણ મંજૂરી આપી છે.
મેસર્સ કોટિયા પ્રોજેક્ટએ દાવો કર્યો હતો કે તળાવ પર પ્રોજેક્ટ અને સબ-કોન્ટ્રાક્ટ હેઠળ બોટિંગ પ્રવૃત્તિઓ ચલાવવા બાબતે તેના અને બે સંયુક્ત સાહસ ભાગીદારો વચ્ચે ત્રિ-પક્ષીય કરાર થયો હતો. જોકે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેણે ક્યારેય સબ-કોન્ટ્રાક્ટ બોટિંગ પ્રવૃત્તિઓ અંગે પરવાનગી આપી નથી. આ મામલાની સુનાવણી 16 જાન્યુઆરી, 2026 ના રોજ થવાની શક્યતા છે.










