![]()
ખેડૂતોને
નજીવું વળતર ચુકવતા રોષ ઃ આંદોલનની ચીમકી
ખેડૂતોની
જમીનમાંથી વીજ લાઈન પસાર થવાને કારણે પાક અને જમીનને નુકસાન થતું હોવાની ફરિયાદો
સુરેન્દ્રનગર –
વઢવાણ મામલતદાર કચેરીમાં સ્થાનિક ખેડૂતોએ પાવરગ્રીડ કંપની
દ્વારા હાઈટેન્શન વીજલાઈન અને પોલ નાખવાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું
હતું. ખેડૂતોની ફરિયાદ એ છે કે તેમની જમીન અને પાકને થનારા નુકસાન સામે કંપની
દ્વારા અત્યંત નજીવી રકમનું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.
વઢવાણ
તાલુકાના ખેતરોમાંથી પાવરગ્રીડ કંપની દ્વારા હાઈટેન્શન વીજલાઈન પસાર કરવાની
કામગીરી શરૃ થવાની છે. ખેડૂતોની જમીન મનપા વિસ્તારમાં આવતી હોવા છતાં, તેમને ગ્રામ્ય
વિસ્તારના ખેડૂતો કરતાં પણ ઓછું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજલાઈન પસાર થવાથી
તેમની કિંમતી જમીન અને ઊભા પાકને મોટું નુકસાન થશે.
ખેડૂતોએ
વઢવાણ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરીને તેમની જમીન બચાવવા અને યોગ્ય વળતર આપવા
માટે તંત્ર સમક્ષ માંગણી કરી છે. જો આગામી દિવસોમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય
લેવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.










