કોરોનાકાળમાં બંધ કરાયેલી વડોદરા – કઠાણા ડેમૂ (ડિઝલ ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ) ટ્રેનને આજે કઠાણા રેલવે સ્ટેશનથી લીલીઝંડી આપી ફરી શરુ કરાતા અસંખ્ય લોકોને લાભ થશે.
આજે આણંદના સાંસદ મિતેશ પટેલ અને ગુજરાત સરકારના ખાદ્ય, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા મંત્રી રમણ સોલંકીના હસ્તે કઠાણા રેલવે સ્ટેશન ખાતેથી લીલીઝંડી બતાવી વડોદરા – કઠાણા ડેમૂ ટ્રેનનું પુનઃ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વડોદરા વિભાગના ડીઆરએમ રાજુ ભડકે, વરિષ્ઠ રેલ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
સાંસદે કહ્યું કે, સ્થાનિક લોકોની વર્ષોથી પડતર માગ આજે પુરી થઈ છે. તેમણે ભવિષ્યમાં આ ટ્રેનના વધુ સ્ટોપેજ તથા આ રૂટ પર ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવવાની માગ પણ રજુ કરી હતી.
મંત્રીએ જણાવ્યું કે, કોરોના બાદ આ સેક્શન પરસેવા પુનઃ શરૂ કરવાની લોકોની માગસોશિયલ મીડિયા પર પણ તેજ બની હતી. આ સેવા ફરી શરૂ થવાથી કઠાણા અને આસપાસના ગામોથી વડોદરા તરફ જતા વિદ્યાર્થીઓ, રોજગારી માટે જતા લોકો તથા સામાન્ય મુસાફરોને મોટી રાહત મળશે. તેમણે લોકોને આ ટ્રેનનો વધુ ઉપયોગ કરવાની અપીલ કરી હતી, જેથી ભવિષ્યમાં કોચની સંખ્યા વધારવાની વ્યવસ્થા શક્ય બને. ડીઆરએમ, એ જણાવ્યું કે, માત્ર ચાર મહિનામાં આ પડકારજનક કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, હાલ કઠાણા – વડોદરા વચ્ચે મુસાફરીનો સમય ૪ કલાકનો હોઈ ભવિષ્યમાં ઓછો થઈ શકે છે. સમપાર ફાટકો પર ડાઇવર્ઝન અથવા રોડ ઓવરબ્રિજના નિર્માણથી ટ્રેનની ગતિમાં વધારો કરતાં આ મુસાફરી બે કલાકમાં પૂર્ણ કરવાની યોજના છે.

આજથી નિયમિત ડેમૂ સેવા શરુ
આવતી કાલે તા.૮ ડિસેમ્બરથી આ ડેમૂ સેવા સપ્તાહમાં છ દિવસ (શનિવાર સિવાય) નિયમિત રીતે ચાલશે .કઠાણા – વડોદરા, કઠાણાથી સવારે ૫:૧૫ કલાકે ઉપડશે અને સવારે ૯:૨૦ કલાકે વડોદરા સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે વડોદરા -કઠાણા, વડોદરાથી બપોરે ૪:૫૫ કલાકે ઉપડશે અને રાત્રે ૯ કલાકે કઠાણા પહોંચશ. આ ટ્રેનો બંને દિશામાં બોચાસણ, બોરસદ, વાસદ, નંદેસરી, ૨નોલી અને બાજવા ખાતે રોકાશે.










