![]()
– ઈજાગ્રસ્ત હાલતમાં વેપારી ઢળી પડતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી
– મૃતક 3 મિત્રો સાથે નીકળ્યા હતા : સ્થાનિકોએ ઉતારેલા વીડિયોમાં મૃત્યુ પહેલા વેપારી 3 શખ્સોના નામ બોલતા તે દીશામાં તપાસ : રૂપિયાની લેતી-દેતીમાં હત્યાની આશંકા
નડિયાદ : મહેમદાવાદના ટ્રાન્સપોર્ટના વેપારીની અજાણ્યા શખ્સોએ ગળા અને પેટમાં છરાના ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં વેપારી વસોના રણછોડપુરામાં આવી ઢળી પડયા હતા. સ્થાનિકોએ જાણ કરતા પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે વેપારી મૃત્યુ પામ્યા હતા. સ્થાનિકોએ અગાઉ વીડિયો ઉતારી લેતા મૃતક ત્રણ જેટલા વ્યક્તિઓના નામ બોલતા પોલીસે વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહેમદાવાદ શહેરમાં રહેતા સલીમ મહેમુદ્દીન મલેક પોતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ગતરોજ મોડી રાત્રે તેઓ ઘવાયેલી હાલતમાં વસો તાલુકાના દાવડા નજીકના પરા વિસ્તાર એવા રણછોડપુરામાં આવ્યા હતા. સ્થાનિકોએ તુરંત જાણ કરતા પરિવારજનો રણછોડપુરા ખાતે આવી પહોંચ્યા હતા. જોકે સલીમભાઈને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. વસો પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક ઘાયલ હાલતમાં રણછોડપુરા સીમમાં રાત્રે અચાનક એક વ્યક્તિના ઘર નજીક આવી જતાં તેઓ પણ ડરી ગયા હતા. સલીમ મલેકનું મૃત્યુ થાય તે પહેલા સ્થાનિકોએ વિડિયો પણ બનાવ્યો હતો. જોકે તેમાં મૃતક વ્યક્તિ કેટલાક લોકોના નામ બોલતા પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. આ મામલે મૃતકના ભાણીયા મલેક મહંમદસહીદ સફીયાણાએ જણાવ્યું કે, મને રાત્રે ૯ઃ૦૬ની આસપાસ ફોન? આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ કહેલું કે, તમારા મામાને કોઈ વ્યક્તિએ છરાના ઘા માર્યા છે માટે? તમે રણછોડપુરા સીમમાં આવો તેમ કહેતા હું અને મારા પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. અગાઉ સ્થાનિકોએ જાણ કરતા એમ્બ્યુલન્સના તબીબોએ આવી તપાસ કરતા સલીમ મહેમુદ્દીન મલેક મૃત્યુ પામ્યા હતા. આ બનાવ મામલે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોડી સાંજે પોલીસે બે આરોપીની અટકાયત કર્યાની ચર્ચા
આ સમગ્ર મામલે મોડી સાંજ સુધી પોલીસ વિભાગ દ્વારા હત્યા સબંધિત બે આરોપીઓની અટકાયત કરી લીધાની પ્રાથમિક વિગતો મળી રહી છે. હવે પોલીસ આ હત્યારાઓની પૂછપરછની સાથોસાથ ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવા સુધીની તજવીજ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે.
આરોપીઓએ ગળા અને પેટના ભાગે છરાના ઘા મારતા મૃત્યુ : ડીવાયએસપી
આ અંગે ડીવાયએસપી વી. આર. બાજપાઈએ જણાવ્યું છે કે, મૃતક સલીમ મલેક સાંજે ૭.૩૦ વાગ્યાના અરસામાં ત્રણ મિત્રો – મનુભાઈ આમલેટવાળા, સાજીદ વ્હોરા (રિક્ષાચાલક) અને હિમાંશુ દેસાઈ સાથે નીકળ્યા હતા. મોડી રાત્રે ૯ વાગ્યાના અરસામાં તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં રણછોડપુરાના રયજીભાઈના ઘરે આવ્યા હતા. રયજીભાઈએ ૧૦૮ અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. આ ઘટનામાં પૈસાની લેતી-દેતીનો વિવાદ મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક વાહનોની લે-વેચનો ધંધો કરતા હતા અને આ જ કારણસર આરોપીઓ પાસે પૈસા માંગતા હતા. રયજીભાઈએ બનાવેલા વિડિયોમાં મૃતકે આ ત્રણેય ઈસમોનાં નામ બોલ્યા હતા. મૃતકને ગળા અને પેટના ભાગે છરાના ઘા મારવામાં આવ્યા હતા. વસો પોલીસે આ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.










