![]()
મોરબી પંથકમાં અકસ્માતના 3 બનાવમાં ચારના મોત, 7ને ઇજા
ટંકારા-લતીપર રોડ પર ટ્રક અને રિક્ષા અથડાતા રિક્ષામાંથી પડી જતાં યુવાનનું મોત, માળિયા-જામનગર હાઈ-વે પર અકસ્માતમાં એકનું મોત, 4ને ઇજા
મોરબી: મોરબી જિલ્લામાં અકસ્માતના ૩ બનાવમાં ૪ના મોત નીપજ્યા હતા. જ્યારે ૭ને ઇજા પહોંચી હતી. મોરબીના જડેશ્વર રોડ પરથી ત્રિપલ સવારી બાઈકને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક સવાર કાકા-ભત્રીજાનું મોત થયું હતું, જયારે અન્ય એકને ઈજા પહોંચી હતી.
મૂળ મધ્યપ્રદેશના દુર્ગેશભાઇ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૨) ભત્રીજા આયરવ (ઉ.વ.૩) અને સંબંધી આકાશને બાઇક પર બેસાડી વાંકાનેરના જડેશ્વર રોડ પરથી જતાં હતા. ત્યારે કાર ચાલકે મોટરસાયકલને સામેથી ઠોકર મારી પછાડી દીધા હતા. જેમાં આકાશને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે આયરવ અને દુર્ગેશભાઇને ગંભીર ઇંજા પહોંચતા મોત થયું હતંુ. વાંકાનેર પોલીસે અકસ્માત અંગે મૃતક દુર્ગેશભાઇના ભાઇ સુનીલ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૪)ની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જામનગર એરફોર્સ રેલ્વે કોલોની સામે રહેતા મીરાબેન નરશીભાઈ મકવાણા તેના પતિ નરશીભાઈ પ્રાગજીભાઈ મકવાણા (ઉ.વ.૩૪) અને દીકરો કાનો બધા મોરબીના રફાળેશ્વરથી જામનગર રિક્ષામાં બેસીના જતા હતા. ત્યારે ટંકારા-લતીપર રોડ પર આઈશર ચાલકે અચાનક રોડ વચ્ચે આવતા રિક્ષા અને આઈસર અથડાયા હતા. જેમાં નરશીભાઈ રિક્ષામાંથી નીચે પડી જતાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતંુ.મીરાબેન અને રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી.
ગાંધીધામ તાલુકાના અર્બુદાનગર અંતરજાળના રહેવાસી કુશલ ધર્મેન્દ્રભાઈ વાઘમશી (ઉ.વ.૨૩)ના ભાઇ પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વાઘમશીની કારને માળિયા-જામનગર હાઈ-વે પર મોટી બરાર ગામથી પીપળીયા ચાર રસ્તા જતા રોડ પર ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં પ્રિન્સ, ભાભી, દાદી અને ભત્રીજીને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમજ પ્રિન્સ ભાઈના સાળી એકતાબેન અરવિંદભાઈ કાતરીયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું.










