![]()
વડોદરા, તા.21 વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામની આશરે રૃા.૮ કરોડ કિંમતની જમીન પચાવી પાડનાર કમલાપુરા ગામના બે ભરવાડ બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં મંગલપાર્ક સોસાયટીમાં રહેતા મૌલિક સુભાષભાઇ પટેલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કમલાપુરા ગામમાં રહેતા જોધા વિહાભાઇ ભરવાડ અને ધના ઉર્ફે દાના વિહાભાઇ ભરવાડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દત્તપુરા ગામની સીમમાં ૮૯૭ ચો.મી. તેમજ ૧૩૫૦ ચો.મી. બિનખેતી ખુલ્લી જમીન તેના મૂળ માલિકો જેઓ મુંબઇ અને વડોદરામાં રહેતા હોવાથી તેઓની પાસેથી ખરીદવાનું નક્કી કર્યુ હતું.
ઓગસ્ટ-૨૦૨૩માં વાઘોડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બંને જમીનોનો દસ્તાવેજ કર્યા બાદ રેવન્યૂ રેકર્ડમાં નામ ચડાવ્યું હતું. રેતી કપચીનો વેપાર કરતા હોવાથી જમીનમાં એક ઓરડી બનાવી હતી જે ઓરડીની આગળ બંને ભરવાડ ભાઇઓએ પોતાનો પાનનો ગલ્લો મૂકી દીધો હતો અને અમારી પાસેથી પૈસા પડાવવા માટે જમીનમાં કબજો કરી દીધો હતો. અમો જ્યારે જમીન પર ગયા ત્યારે તેમણે જતા રોક્યા હતા અને જમીન અમારા કબજામાં છે અમો ખાલી કરવાના નથી તેવી ધમકી આપી હતી.
મેં તેઓ પાસેથી જમીનના પુરાવા માંગ્યા હતા પરંતુ તેઓ પાસે નહી હોવાનું જણાવ્યું હતું. આ અંગે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી જેની તપાસ હાથ ધર્યા બાદ બંને ભાઇઓને ૧૫ દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ આપી હતી તેમ છતાં બનેએ કબજો છોડયો ન હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પોલીસે બંનેન ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.










