![]()
Operation Shakti : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની સાથે-સાથે પાકિસ્તાન પણ ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પના નિવેદનથી દક્ષિણ એશિયામાં પરમાણુ શક્તિ સંતુલન અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે. એશિયામાં પરમાણુ પરીક્ષણ કંઈ નવું નથી. ભારતના “ઓપરેશન શક્તિ”ના ધમાકા આજે પણ અમેરિકાને યાદ છે.
પોખરણમાં પરમાણુ પરીક્ષણ “ઓપરેશન શક્તિ”
11 મે, 1998ના રોજ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ ભારતે રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું. ડૉ. એપીજે અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આ પરીક્ષણ અત્યંત ગુપ્તતા અને ચાતુર્ય સાથે કરવામાં આવ્યું હતું. યુએસ ગુપ્તચર એજન્સી, સીઆઈએ દ્વારા નજીકથી દેખરેખ રાખવા છતાં ભારતીય વૈજ્ઞાનિકો તેમને ટાળવામાં સફળ રહ્યા હતા. આ “ઓપરેશન શક્તિ” એ ભારતને પરમાણુ શક્તિ તરીકે સ્થાપિત કર્યું અને વિશ્વને તેની લશ્કરી ક્ષમતાઓ બતાવી હતી. આ ભારતનું બીજું પરમાણુ પરીક્ષણ હતું, પહેલું પરીક્ષણ 1974માં “સ્માઇલિંગ બુદ્ધા” નામથી કરવામાં આવ્યું હતું.
ડૉ. એપીજે અબ્દુલ કલામનું તેજસ્વી નેતૃત્વ
આ મિશનની સફળતાનો શ્રેય ડૉ. એપીજે અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળના વૈજ્ઞાનિકોની ટીમને જાય છે. તેમણે આ સમગ્ર કામગીરી અત્યંત ગુપ્તતા અને ચાતુર્ય સાથે પાર પાડી હતી. યુએસ ગુપ્તચર એજન્સી, સીઆઈએ દ્વારા કડક દેખરેખ હોવા છતાં, ભારતીય વૈજ્ઞાનિકો તેમને ટાળવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો: ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ
કોડવર્ડનો ઉપયોગ
વૈજ્ઞાનિકો એકબીજા સાથે વાતચીત કરવા માટે કોડ ભાષાનો ઉપયોગ કરતા હતા અને એકબીજાને ઉપનામથી બોલાવતા હતા. જેમાં ડૉ. કલામને “કર્નલ પૃથ્વીરાજ” ઉપનામ આપવામાં આવ્યું હતું. તેઓ ક્યારેય સમૂહમાં પરીક્ષણ સ્થળ પર ગયા ન હતા, પરંતુ શંકા ટાળવા માટે એકલા ગયા હતા. પરીક્ષણના દિવસે ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે દરેકને લશ્કરી ગણવેશમાં પરીક્ષણ સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.
પરમાણુ બોમ્બ અત્યંત ગુપ્તતામાં જેસલમેર લાવવામાં આવ્યા હતા. યોજનાને 10 મેની રાત્રે અંતિમ સ્વરૂપ અપાયું હતું અને લગભગ 3 વાગ્યે પરમાણુ બોમ્બને ચાર સૈન્ય ટ્રકોમાં પરિવહન કરવામાં આવ્યા હતા. આની પહેલા ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા મુંબઈથી જેસલમેર બેઝ પર લાવવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન દિલ્હી ઓફિસમાં કોડ શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, એક પરમાણુ બોમ્બ ટૂકડીને ‘તાજમહેલ’ કહેવામાં આવતું હતું, જ્યારે અન્ય કોડ શબ્દોમાં ‘વ્હાઇટ હાઉસ’ અને ‘કુંભકરણ’નો સમાવેશ થતો હતો.
પરીક્ષણ માટે પોખરણ કેમ પસંદ કરાયું?
પોખરણ ઓછી વસ્તી ધરાવતું સ્થળ હોવાથી પરીક્ષણ માટે પસંદ કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર જેસલમેરથી લગભગ 110 કિલોમીટર દૂર આવેલો છે. વૈજ્ઞાનિકોએ રણમાં મોટા કુવા ખોદીને તેમાં પરમાણુ બોમ્બ મૂક્યા હતા. આ કુવાઓ રેતીના પહાડોથી ઢંકાયેલા હતા અને ઉપરથી જાડા વાયરો ખેંચાયેલા હતા. વિસ્ફોટ પછી, ધુમાડાના મોટા વાદળ આકાશમાં ઉછળ્યા, અને વિસ્ફોટ સ્થળ પર એક મોટો ખાડો બન્યો હતો. લગભગ 20 વૈજ્ઞાનિકોનું એક જૂથ દૂર ઊભું રહ્યું અને સમગ્ર ઘટનાના સાક્ષી બન્યા હતા.
આ પણ વાંચો: PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા
આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પરીક્ષણ
ડૉ. કલામે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તે સમયે ભારત પર નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય દબાણ હતું. જોકે, વડાપ્રધાન વાજપેયી આ પરીક્ષણ કરવા માટે મક્કમ હતા. પરીક્ષણ બાદ ભારતને ઘણા દેશો તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો, પરંતુ ભારતે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ પરીક્ષણ તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી હતું.










