![]()
વડોદરા,આજે બપોરે વાસદ મહિસાગર નદીના બ્રિજ પરથી નીચે ઝંપલાવીને ૨૩ વર્ષના યુવકે આપઘાત કરી લીધો છે. શહેરમાં અલગ – અલગ ત્રણ બનાવમાં ત્રણ યુવકોએ જીવન ટૂંકાવી દીધું છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, સાંકરદા ગામ નિશાળવાળા ફળિયામાં રહેતો ૨૩ વર્ષનો રવિન્દ્રકુમાર તખતસિંહ ચાવડા ગોડાઉનમાં કામ કરતો હતો.થોડાસમય અગાઉ જ તેની સગાઇ થઇ હતી. આજે તે ચાલતો ઘરેથી નીકળ્યો હતો. બપોરે ૧ વાગ્યે ફાજલપુર ગામથી વાસદ જતા મહિસાગર નદીના બ્રિજ પરથી નીચે કૂદકો મારી દીધો હતો. પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. નંદેસરી પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક બનાવની પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, હુજરત ટેકરા મહાકાળી મંદિર પાસે રહેતા ફૂડ ડિલીવરી બોય હાર્દિક પ્રવિણકુમાર પરમારે (ઉં.વ.૩૬) અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
મકરપુરા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, માણેજા શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જસ્મીનકુમાર અર્જુનભાઇ પરમાર (ઉં.વ.૩૩) ખાનગી કંપનીમાં નોકરી કરે છે.અગમ્ય કારણોસર તેણે આપઘાત કરી લીધો હતો.










