![]()
Tamilnadu Govt Formation Suspense: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં નવી સરકારની રચના અંગે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), જેણે ડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધન હેઠળ ચૂંટણી લડીને કટ્ટુમન્નારકોઈલ અને તિન્ડિવનમમાં બે બેઠકો જીતી છે, તેણે હજુ સુધી તમિલગા વેટ્ટરી કઝગમ(TVK)ને ટેકો આપવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. 234 બેઠકોની વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે, જેની સામે વિજયની TVK પાસે 108 બેઠકો છે.
સરકાર રચવા VCKની બે બેઠકો અત્યંત નિર્ણાયક
સરકાર બનાવવા માટે TVKને હજુ પણ એક વધુ બેઠકની જરૂર છે, કારણ કે તેને સીપીઆઇ, સીપીઆઇ(એમ) અને કોંગ્રેસનું સમર્થન મળ્યા બાદ કુલ આંકડો 117 સુધી પહોંચ્યો છે. આ સ્થિતિમાં VCKની બે બેઠકો અત્યંત નિર્ણાયક બની ગઈ છે. અભિનેતા-રાજકારણી સી. જોસેફ વિજયે સરકાર રચવા માટે અનેક પક્ષોનો સંપર્ક કર્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરી રહ્યા છે. જો કે રાજભવને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જરૂરી બહુમતી સ્થાપિત ન થાય ત્યાં સુધી સરકારની રચના શક્ય નથી.
VCK નાયબ મુખ્યમંત્રીનું પદ માંગવાની ફિરાકમાં
VCKના વલણ અંગે મૂંઝવણ ત્યારે વધી જ્યારે પક્ષના પ્રમુખ થોલ થિરુમાવલવને જણાવ્યું કે તેઓ કાર્યકારી સમિતિની બેઠક બાદ જ નિર્ણય લેશે. બીજી તરફ, સીપીઆઇના સચિવ એમ. વીરાપાંડિયને એવો દાવો કર્યો હતો કે VCK પણ ડાબેરી પક્ષોના માર્ગે TVKને ટેકો આપશે. જો કે શુક્રવારે VCKના ધારાસભ્ય વન્ની અરાસુના સોશિયલ મીડિયા સંદેશાએ રાજકીય ગરમાવો વધારી દીધો હતો, જેમાં તેમણે ‘શાસન અને સત્તામાં હિસ્સા’ ની વાત કરી હતી, જેનાથી નાયબ મુખ્યમંત્રી કે મંત્રીપદની માંગના સંકેતો મળ્યા હતા.
શનિવારે સવારે સત્તાવાર જાહેરાત વચન હતું પણ..
આ અટકળો વચ્ચે VCKના જનરલ સેક્રેટરી અને સાંસદ ડી. રવિકુમારે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે પક્ષ દ્વારા પદોની માંગણી કરવામાં આવી રહી હોવાના અહેવાલો સત્યથી વિરુદ્ધ છે. તેમણે મીડિયાને વિનંતી કરી હતી કે પક્ષને બદનામ કરતા આવા રિપોર્ટ પર વિશ્વાસ ન કરવો. થિરુમાવલવને શનિવારે સવારે સત્તાવાર જાહેરાત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ પક્ષની ઑફિસ પર મીડિયા અને સમર્થકોની ભીડ જામતા આ જાહેરાત દિવસના અંત સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: તમિલનાડુમાં જનાદેશનું અપમાન! ક્યાં સુધી રાજ્યપાલ વિજયના સરકાર રચવાના દાવાને નકારી શકે? 7 સ્ટેપમાં સમજો
રાજ્યપાલના કાર્યોને બંધારણ વિરોધી: વન્ની અરાસુ
અંતે, વન્ની અરાસુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષના પ્રમુખ થોલ થિરુમાવલવન દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું પાલન કરશે. તેમણે રાજ્યપાલના કાર્યોને બંધારણ વિરોધી ગણાવીને ટીકા કરી હતી અને રાજ્યમાં ‘લોકોનું શાસન’ સ્થપાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં સૌની નજર VCKની સત્તાવાર જાહેરાત પર છે, કારણ કે તેમના ટેકા વગર TVK માટે બહુમતીનો આંકડો મેળવવો અને સરકાર બનાવવી મુશ્કેલ જણાય છે.
તમિલનાડુમાં સરકાર બનાવવા ચૂંટણી ગણિત ?
તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી TVK 108, DMKને 59 બેઠકો, AIADMKને 47, કોંગ્રેસ 5, PMKને 4, IUML 2, CPI 2, CPI(M) 2, VCK 2 અને BJP, DMDK તથા AMMKને 1-1 બેઠક મળી છે.










