![]()
– લડત સમિતિ દ્વારા મામલતદારને આવેદન
– જગ્યા ફાળવણી અને બિસ્માર રસ્તાનું સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી
વિરમગામ : વિરમગામના વલાણા રેલવે ફાટક પાસે આવેલા ‘ખરાબા વાળા જોગણી માતાજી’ મંદિર ખાતે ગંદકી અને જમીન નિયમિત કરવાના પ્રશ્ને લડત સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મંદિરની બાજુમાં કચરાના ઢગલા, મૃત પશુઓ અને ગટરના ગંદા પાણીને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. પ્રદૂષિત પાણીથી તળાવમાં માછલીઓના મોત થતા પર્યાવરણને નુકસાન થયું છે. આ પરિસ્થિતિને કારણે ધામક કાર્યક્રમોમાં આવતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે.
સમિતિએ માગ કરી છે કે મંદિરની જગ્યા ફાળવી તેને નિયમિત કરવામાં આવે અને રોડ-રસ્તા સુધારવામાં આવે. જો ૧૫ દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.










