![]()
રાજ્યભરમાંથી લોકરક્ષક કેડરની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
આજે તા. 14 જૂને યોજાનારી પરીક્ષા દરમિયાન વડોદરા વિભાગ હેઠળ ઉમેદવારોને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તે માટે વધારાની બસ સેવાઓ ઉપલબ્ધ કરાશે. અમદાવાદ, ભાવનગર, સુરત, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપવા આવશે.
આ માટે વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા વધારાની 100 બસ ટ્રિપોનું આગોતરું આયોજન કરાયું છે. ઉત્તર ગુજરાત તરફ જતી બસો માટે અમિતનગર, દક્ષિણ ગુજરાત માટે મકરપુરા અને સૌરાષ્ટ્ર તરફ જતી બસો માટે નિઝામપુરા તથા સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી વિવિધ રૂટનને સુવિધા ઊભી કરાઈ છે. ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. એસ.ટી. નિગમ દ્વારા તમામ સ્ટોપેજ પર ઉમેદવારોને પ્રાથમિકતા આપીને બસમાં પહેલા બેસવા દેવાની સૂચના આપી છે.









