![]()
વડોદરાઃ વિશ્વ વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં બહાર પાડેલી વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોની યાદીમાં એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર તેમજ બે વરિષ્ઠ પ્રોફેસરોનો પણ સમાવેશ થયો છે.
ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોમાં ભારતના અને ગુજરાતના સંખ્યાબંધ પ્રોફેસરો સ્થાન પામ્યા છે.તેમાં એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર પ્રોફેસર બી એમ ભણગે, ફિઝિક્સ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર પી કે ઝા અને કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અંજલિ પટેલનો સમાવેશ થાય છે.પ્રો.ભણગે પોતે ઈન્ડસ્ટ્રિયલ કેમેસ્ટ્રીના દેશના ટોચના સંશોધકો પૈકીના એક છે.પ્રો.ભણગેના ૪૮૬, પ્રો.પી કે ઝાના ૧૪૬ અને પ્રો.અંજલિ પટેલના ૧૪૬ સંશોધન પ્રકાશિત થયા છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આ યાદી તૈયાર કરવા માટે મુખ્યત્વે ટોટલ સાઈટેશન, એચ ઈન્ડેક્સ, રિસર્ચ પેપર સહિતના કુલ ૬ પરિબળોને ગણતરીમાં લેવામાં આવે છે.લિસ્ટમાં વિજ્ઞાાનના અલગ અલગ ૨૨ ક્ષેત્રો અને ૧૭૪ પેટા ક્ષેત્રોમાં કામ કરતા સંશોધકોને ગણતરીમાં લેવામાં આવ્યા છે.ગુજરાતના ૧૦૦ જેટલા સંશોધકો યાદીમાં સ્થાન પામ્યા છે.યુનિવર્સિટીના ઉપરોકત ત્રણે પ્રોફેસરો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની આ યાદીમાં અગાઉ પણ સ્થાન મેળવી ચૂકયા છે.










