![]()
– રમજાન ઈદના બંદોબસ્ત વચ્ચે ફાયરિંગની ઘટનાથી ખળભળાટ
– નવાપરામાં રજપુત સમાજની વાડી પાસે બનાવ બન્યો, ઈદની ખુશીઓ વચ્ચે રિવોલ્વર-તલવારો સાથે બઘડાટી બોલી
ભાવનગર : ભાવનગરમાં ઈદ પર્વની ઉજવણી બાદ આજે વહેલી સવારે નવાપરા વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરનો નવાપરા વિસ્તાર આજે વહેલી સવારે ગોળીબારના અવાજથી ગૂંજી ઉઠયો હતો. અગાઉના ઝઘડાનું વેર રાખી નવાપરા રાજપુત વાડી પાસે બેઠેલા યુવકો પર ફિલ્મી ઢબે ૮ શખ્સોએ હુમલો કરી મોતનો તાંડવ ખેલવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના ચિંથડા ઉડાવતી ઘટના બની છે. શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે પથ્થરમારાની ઘટનાને ગણતરીના કલાકો વિત્યા નથી ત્યાં વધુ એક ચકચારી ઘટનાએ પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. રમઝાન મહિનામાં પોલીસનો બંદોબસ્ત વચ્ચે ઈદ પર્વની ઉજવણી બાદ આજે વહેલી સવારે નવાપરા વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ થતા ખળભળાટ મચી જવા પામી છે. શહેરના નવાપરા ગ્રીન કોમ્પ્લેક્ષ ખાતે રહેતા જાહીદભાઈ ફારૂકભાઈ લોંડીયાએ નિલમબાગ પોલીસ મથકમાં ફારૂક હુસેનભાઈ મન્સુરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અશ્વિન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રૂદ્ર દયાનંદ પુજારી, ફૈઝાન ફીરોઝભાઈ બેલીમ, તૌફિક જમાલભાઈ હાલારી અને વલી જમાલભાઈ હાલારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે વહેલી સવારે ૪ કલાકના અરસામાં તેમના ઘર પાસે તેઓ તથા તેમના મિત્ર લતીફ, નદીમ અને આમિર બેઠા હતા ત્યારે તેમના ઘરની સામે આવેલી સાઈટની ઓફિસમાંથી ઉક્ત લોકો બહાર આવી તેમના તરફ કાતર મારી હતી. જેથી તેઓ રજપુત વાડી તરફ જતાં રહ્યાં હતા. જ્યાં તોફીક અને વલી હાલારીએ ઉક્ત તેના માણસોને રિવોલ્વર, છરી, તલવાર, લાકડાનો ધોકો જેવા હથિયારો સાથે મોકલી તેમના તરફ સોડા બોટલ ફેંકી હતી અને આ દરમિયાન તેમની વચ્ચે સામસામો પથ્થરમારો થતાં અશ્વિન વસાયા ઉર્ફે અલીએ પોતાના હાથમાં રહેલી રિવોલ્વર વડે હવામાં ફાયરિંગ કરી ‘તમારા બાપ તોફિક અને વલી હાલારીને ઓળખતા નથી તેણે અમને મોકલેલ છે, હવે અહીં બેઠા છો કે કંઈ બોલ્યા છો તો આ તમારી મા સગી નહી થાય’ તેમ કહી તેમની તરફ બીજો રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ તેઓ બચી ગયા હતા. આ બનાવ અંગે તેમણે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
18 માં રોઝાના દિવસે બેસવા મામલે બબાલ થઈ હતી
રમઝાન મહિનાના ૧૮માં રોઝાના દિવસે રાત્રિના સમયે તોફીક હાલારી, કુલદીપ ધીરજભાઈ તથા ફારૂક મન્સુરીએ તેમની સાથે નવાપરા રાજપુત વાડી પાસે બેસવાની ના પાડી તેમની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારથી તેમની વચ્ચે ઝઘડો ચાલતો હોય જેણે આજે વહેલી સવારે ઉગ્ર સ્વરૂપ લીધું હતું.
પોલીસે એક કાર્ટિંસ કબ્જે કરી, 6 શખ્સની અટકાયત
નવાપરા વિસ્તારમાં ફાયરિંગની ચકચારી ઘટના અંગે સીટી ડિવાયાએસપી સિંઘાલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી જઈ એક કાર્ટિસ કબ્જે લીધી છે. તેમજ સ્થળ પર પંચનામાની કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને શોધવા એસઓજી, એલસીબી અને સ્થાનિક નિલમબાગ પોલીસ મથકની મળી કુલ ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને આ મામલે કુલ ૬ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. જેમને રિમાન્ડની માંગણી સાથે સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.










