શામળાજી, તા. ૨૮ એપ્રિલ: પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરમાં શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ, ગુજરાત રાજ્યની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસ્થાના ઉદ્દેશ્યોને વધુ ગતિ આપવા માટે નવા હોદ્દેદારો અને સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
સંસ્થાપક શ્રી મયુરભાઈ મિસ્ત્રી (મોડાસા)ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં નવ નિયુક્ત હોદ્દેદારોને મોમેન્ટ અને નિયુક્તિપત્ર અર્પણ કરીને તેમની સત્તાવાર નિમણૂક કરવામાં આવી. પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી પીન્ટુભાઈ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી. પ્રદેશ પ્રભારી અને સંગઠન મંત્રી તરીકે ડૉ. કુંતલ પંચાલ (વલભીપુર)ની નિમણૂક કરવામાં આવી, જ્યારે પ્રદેશ સંરક્ષક-સંયોજક તરીકે શ્રીમતી આરતીબેન પરમાર (મહુવા)ને જવાબદારી સોંપવામાં આવી.
કાનૂની સલાહકાર તરીકે કોમલબેન વાડોદરીયા (ગાંધીનગર), ખજાનચી તરીકે ડૉ. કોસ્મિકાબેન પંચાલ (ભરૂચ) અને મીડિયા પ્રભારી તરીકે શ્રીમતી મિત્તલબેન રાઠોડ (જામનગર)ની નિમણૂક કરવામાં આવી. કારોબારી સભ્યો તરીકે શ્રીમતી ભૂમિકાબેન ડોડીયા (સાવરકુંડલા), શ્રી પરમભાઈ જોલાપરા (મોરબી) અને શ્રી કરણભાઈ મેવાડા (વિસનગર)ની પસંદગી કરવામાં આવી. તેમજ કમિટી સભ્યો તરીકે શ્રીમતી રશ્મિબેન મેવાડા (પાલનપુર), શ્રી પૂર્વેશભાઈ પંચાલ (અમદાવાદ) અને શ્રીમતી વૈશાલીબેન મકવાણા (રાજકોટ)ની વરણી કરવામાં આવી.
બેઠક દરમિયાન શામળાજીની પવિત્ર ભૂમિ પરથી વિશ્વકર્મા ભગવાનના મહિમા અને સાહિત્યને જનજન સુધી પહોંચાડવા માટે વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. સંસ્થાએ સમાજમાં એકતા, સંસ્કૃતિનું જતન અને ધાર્મિક મૂલ્યોના પ્રસાર માટે કાર્ય કરવાની દિશામાં કાર્યપદ્ધતિ પણ નક્કી કરી.
આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો. નવ નિયુક્ત હોદ્દેદારોમાં સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી.
રિપોર્ટર ડો કિંજલ પંચાલ અમદાવાદ










