![]()
– શહેરની સર ટી. હોસ્પિટલમાં
– નવેમ્બરથી 20 મી ફેબુ્રઆરી સુધીમાં હોસ્પટલમાં કુલ 3635 શરદી, ઉધરસ અને તાવના દર્દી, કોરોના સ્વાઈન ફ્લૂનો એક પણ કેસ નહી
ભાવનગર : શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભની સ્થિતિમાં હાલ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. આ વચ્ચે શિયાળ દરમિયાન ઋતુગત બિમારીના નોંધપાત્ર કેસો હોસ્પિટલમાં જોવા મળી છે. શિયાળાની ઋતુ દરમિયાન ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૩૨ શરદી-ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા છે. જોકે સ્વાઈન ફ્લૂ અને કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
શિયાળાની ઋતુ દરમિયાન ભાવનગર શહેરમાં ઋતુગત બિમારીઓનું પ્રમાણ નોંધપાત્ર જોવા મળ્યું છે. ૧લી નવેમ્બર-૨૦૨૫ થી ૨૦ ફેબુ્રઆરી ૨૦૨૬ સુધીના આશરે સાડા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન શહેરની સર ટી.હોસ્પિટલમાં શરદી-ઉધરસ અને તાવના દરરોજ સરેરાશ ૩૨ કેસ નોંધાયા છે. હાલ શિયાળાની વિદાય અને ઉનાળાના પ્રારંભના સમયગાળામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. આ વચ્ચે શિયાળા દરમિયાન ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં તાવ તથા શરદી-ઉધરસના દર્દીઓનો ઘસારો નોંધપાત્ર રહ્યો છે. છેલ્લા સાડા ત્રણ મહિનામાં હોસ્પિટલમાં તાવ અને શરદી-ઉઘરસના મળી કુલ ૩૬૩૫ દર્દીઓ નોંધાયા છે. જેમાં ૧૪૯૬ શરદી-ઉધરસ અને ૨૧૩૯ તાવના દર્દીઓનો સમાવેશ થાય છે. સર ટી.હોસ્પિટલના આંકડાઓ પ્રમાણે શિયાળામાં શરદી-ઉધરસના સૌથી વધારે ડિસેમ્બર-૨૦૨૫માં ૪૭૦ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે તાવના સૌથી વધારે ૬૧૮ દર્દીઓ જાન્યુઆરી-૨૦૨૬માં નોંધાયા હતા. જ્યારે એક સમયે હાહાકાર મચાવનારા કોરોના અને સ્વાઈન ફ્લૂ જેવી બિમારીઓ જાણે ગાયબ થઈ ગઈ હોય તેમ આ સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ કે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.










