![]()
અમદાવાદ : શેરબજારમાં નબળા સેન્ટિમેન્ટને કારણે છેલ્લા નવ મહિનામાં રોકડ (કેશ) બજાર વોલ્યુમ અને માર્જિન ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં સતત ઘટાડો થયો છે. કેશ માર્કેટ વોલ્યુમ જૂન, ૨૦૨૪માં તેની રેકોર્ડ ટોચેથી ૪૫ ટકા ઘટયું છે, જ્યારે રોકાણકારો દ્વારા શેર ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા માર્જિન એકાઉન્ટ્સ સપ્ટેમ્બર, ૨૦૨૪ની ઐતિહાસિક ટોચેથી ૧૬ ટકા ઘટયા છે.
વિશ્લેષકોના મતે આ ઘટાડા માટે ટ્રેડરોના નબળા પડેલા મનોબળ અને નિયમનકારી ફેરફારો જવાબદાર છે. તેના કારણે ઓપ્શન પ્રીમિયમનું પ્રમાણ પણ ઘટયું છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે માર્જિન એકાઉન્ટ્સમાં ઘટાડો અને લીવરેજમાં ઘટાડો બજારની લિક્વિડિટી અને રોકાણકારોની ભાગીદારી અંગે ચિંતા વધારી શકે છે.
માર્ચ મહિનામાં શેરબજારમાં મસમોટા ધબડકા બાદ આવેલ રિકવરી છતાં કેશ માર્કેટમાં એવરેજ દૈનિક ટર્નઓવર માસિક ધોરણે ૩ ટકા ઘટયું છે. સતત ત્રીજા મહિને તેમાં ઘટાડો જોવા મળ્યો છે.
માર્ચના પહેલા બે અઠવાડિયામાં એનએસઈ પર કેશના વેપારમાં ઘટાડો ચાલુ રહ્યો અને સરેરાશ દૈનિક વેપાર વોલ્યુમ (એડીટીવી)માં ૫.૭ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે બીએસઈ પર વોલ્યુમ સ્થિર રહ્યું છે તેમ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એક અહેવાલમાં જણાવાયું છે.
રેગ્યુલેટરી નિયમો અમલમાં આવ્યા તે પહેલાં જ ઓપ્શન પ્રીમિયમમાં ઘટાડો શરૂ થઈ ગયો હતો. આ સાથે, નવા ડીમેટ ખાતાઓમાં ઘટાડો થયો અને એક્ટિવ ટ્રેડર્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ફેબ્રુઆરીની સરખામણીમાં આ મહિને ટ્રેડરો શેર-સિક્યોરિટી ખરીદવા બ્રોકર્સ પાસેથી જે માધ્યમથી પૈસા ઉધાર લે છે તે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ)માં પણ ૩ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.










