![]()
વડોદરા,પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગ ગુ્રપના એડમિન સહિત ત્રણ આરોપીઓ અજમેરથી ઝડપાઇ ગયા છે. તેઓને લઇને પોલીસ વડોદરા આવી રહી છે. એડમિનની પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવના છે.
ગત સોમવારે મોડીરાતે અઢી થી ત્રણ વાગ્યા દરમિયાન પાણીગેટ માંડવી રોડ પર પૂર્વ આયોજિત કાવતરા મુજબ એક સગીર તથા સૂફિયાન અને શાહનવાઝે ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં સિટિ પોલીસે અત્યારસુધી કુલ છ ને ઝડપી પાડયા હતા. જ્યારે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગુ્રપના એડમિન જુનેદ સિન્ધી તથા અનસ કુરેશી અને સમીર શેખ ઝડપાયા નહતા. પોલીસ તેઓને પકડવા માટે ટેકનિકલ સોર્સની મદદ લઇ રહી હતી. દરમિયાન ત્રણેય આરોપીઓ અજમેરથી ઝડપાઇ ગયા છે. જે અંગે એવી વાત ચાલી રહી છે કે, જુનેદના પરિવાર અને તેના મિત્રોના મોબાઇલ ફોન સર્વેલન્સ પર હતા. તે ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવતા પોલીસે તે અજાણ્યા નંબરની ડિટેલ અને લોકેશન મેળવ્યા હતા.આ નંબર જુનેદ ઉપયોગમાં લેતો હતો. તેનું લોકેશન રાજસ્થાનના અજમેર ખાતેનું આવતા શહેર પોલીસે અજમેર પોલીસને જાણ કરી હતી. અજમેર પોલીસે હોટલમાં રોકાયેલા જુનેદ સહિત ત્રણને ઝડપી પાડયા હતા. દરમિયાન શહેર પોલીસની એક ટીમ જેમાં એક પી.એસ.આઇ. અને પાંચ પોલીસ કોન્સ્ટેબલની ટીમ અજમેર પહોંચી હતી. ત્યાંથી આરોપીઓને હસ્તગત કરી વડોદરા લઇ આવવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા તેઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં સિમિ, સ્લિપર સેલ જેવા આતંકવાદી સંગઠનની શંકા, વિદેશી સંપર્ક તેમન નાણાંકીય સહાયની શંકાઓ સેવાઇ રહી છે. જુનેદની પૂછપરછ દરમિયાન આ તમામ શક્યતાઓ અંગે સ્પષ્ટતા થશે.
શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકાયા ત્યારે જુનેદ ઘર પાસે જ હતો
આરોપીઓ ભાગીને પહેલા મુસાફર ખાના, સોમા તળાવ, કવાંટ, ગોધરા ગયા પછી ટ્રેનમાં બેસીને અજમેર પહોંચ્યા
વડોદરા,
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, ગુનો બન્યો ત્યારે જુનેદ તેના ઘર પાસે જ હતો. ઇંડા ફેંકાયા પછી માહોલ તંગ થતા ધરપકડના ડરથી જુનેદ,સલીમ અને અનસ મુસાફરખાના પહોંચી ગયા હતા. ત્યાંથી રિક્ષામાં બેસીને તેઓ સોમા તળાવ ચાર રસ્તા ત્યાંથી પ્રાઇવેટ વાહનમાં કવાંટ અને કવાંટથી સરકારી બસમાં ગોધરા ગયા હતા. ગોધરાથી તેઓ ટ્રેનમાં બેસીને અજમેર પહોંચ્યા હતા. ત્યાં તેઓ હોટલમાં રોકાયા હતા. વડોદરા પોલીસને આરોપીઓનું લોકેશન મળતા અજમેર પોલીસને જાણ કરી હતી. અજમેર પોલીસે તેઓને હોટલમાંથી ઝડપી લીધા હતા. આરોપીઓ હોટલમાં પોતાના સાચા નામ સરનામા બતાવી રોકાયા હતા.
હા, અમે ઘટનાને અંજામ આપવા માટે કાવતરું ઘડયું હતું
વડોદરા,
જુનેદ અને તેની સાથે પકડાયેલા બે આરોપીઓએ પોલીસની પ્રાથમિક પૂછરછ દરમિયાન એવી કબૂલાત કરી હતી કે, હા, અમે ઘટનાને અંજામ આપવા માટે કાવતરું ઘડયું હતું. અમે પડદા પાછળ રહીને અન્ય આરોપીઓને શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવા માટે તૈયાર કર્યા હતા. પકડાયેલા આરોપીઓનો કોઇ ગુનાઇત ભૂતકાળ નથી. આરોપીઓને ભાગવામાં કોણે મદદ કરી ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ઇંડા ફેંકવાના ગુનામાં કુલ આઠને પોલીસે ઝડપી પાડયા
વડોદરા,
પોલીસે આ કેસમાં અગાઉ એક સગીર સહિત પાંચને ઝડપી પાડયા હતા. જે પૈકી બે આરોપી સૂફિયાન અને શાહનવાઝ રિમાન્ડ પૂરા થતા જેલમાં ગયા છે. જ્યારે અન્ય આરોપીઓ જુનેદ મલેક, જાવીદ મલેક, સલમાન મનસુરી રિમાન્ડ પર છે. જ્યારે આજે ધરપકડ થયેલા ત્રણ આરોપીઓ (૧) જુનેદ સલીમભાઇ સિન્ધી (૨) અનસ મોહંમદઇર્શાદ કુરેશી ( બંને રહે. માસૂમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી) તથા (૩) સમીર શેખ ઉર્ફે બંગાળી (રહે. હેવન કોમ્પલેક્સ, આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે, પાણીગેટ) ને આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.










