![]()
વડોદરાઃ મદાર માર્કેટ પાસે શ્રી જી ની સવારી પર ઇંડા ફેંકવાના રાતે અઢીથી ત્રણ ના ગાળામાં બનેલા બનાવના કોઇ પ્રત્યાઘાત ના પડે તે માટે ભારે તકેદારી લેવાઇ હતી.
માંડવી-પાણીગેટ વચ્ચે શ્રીજી ની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનાની જેમ જેમ જાણ થઇ તેમ ગણેશ મંડળો એક બીજાનો સંપર્ક કરવા માંડયા હતા અને કેટલાક મંડળના આગેવાનો ભેગા પણ થયા હતા.
તો બીજીતરફ ભાજપના સ્થાનિક કાઉન્સિલરો,કાર્યકરો અને યુવકો બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવના કોઇ પ્રત્યાઘાત ના પડે તે માટે પોલીસ અધિકારીઓને સહકાર આપ્યો હતો.
બીજીતરફ બનાવને પગલે ગણેશ મંડળોમાં ભારે રોષ ફેલાયો હતો.પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી કાઢી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતાં સ્થિતિ વણસતાં રહી ગઇ હતી.
માંડવી-પાણીગેટ રોડ પર વારંવાર શ્રીજી યાત્રા પર હુમલો,પોલીસ સામે જ ઇંડા ફેંકયા
માંડવી-પાણીગેટ રોડ પર શ્રીજી ની સવારીઓ પર હુમલાના વારંવાર બનાવો બનતા હોવાથી પોલીસે આ વિસ્તાર માટે અલગ એક્શન પ્લાન બનાવવો પડે તેવી નોબત આવી છે.
ત્રણ દાયકા પહેલાં ચાર દરવાજા વિસ્તારોમાં શ્રીજી વિસર્જન યાત્રા દરમિયાન તોફાનો ફાટી નીકળ્યા તે વખતે પણ માંડવી પાસે કાંકરીચાળો થયો હોવાની વિગતો બહાર આવી હતી.
ત્યારપછી પણ જૂનીગઢી અને પાણીગેટ વિસ્તારની સવારીઓ પર કાંકરીચાળો કરવાના બનાવો આ રોડ પર બન્યા હતા.સ્થાનિક આગેવાનોના કહ્યા મુજબ,ગઇ રાતે ઇંડા ફેંકાયા ત્યારે હોમગાર્ડ જવાન હાજર હતા.આ ઉપરાંત ૫૦ મીટર દૂર જ પોલીસ સ્ટેશન હોવાથી પોલીસ પણ દોડી આવી હતી અને તે વખતે પણ ઇંડા ફેંકાયા હતા.જેથી શ્રીજી ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.










